પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

સ્વરાજશક્તિમાં સમસ્ત હિન્દુસ્તાનની રાજ્યપ્રકરણી સુવ્યવસ્થા સમાયેલી છે.

દેશી રાજ્યોની સ્થિતિ

એ સુવ્યવસ્થા કેવી હોય ? એકબીજાની નાશક નહિ પણ પોષક. સ્વરાજ ભોગવતું હિન્દુસ્તાન દેશી રાજ્યોનો નાશ નહિ ઇચ્છે પણ દેશી રાજ્યોને મદદગાર નીવડશે. તેવું જ વલણ દેશી રાજ્યોનું સ્વરાજી હિન્દુસ્તાન પ્રત્યે હશે.

અત્યારની દેશી રાજ્યોની સ્થિતિ મારી દૃષ્ટિએ દયાજનક છે. કેમકે તે પોતે પરાધીન જેવાં છે. રૈયતને દેહાંત દંડ દેવાની સત્તા ભોગવવામાં ખરી સત્તા નથી રહેલી, પણ આખા જગતની સામે રૈયતની રક્ષા કરવાની ઈચ્છા અને શક્તિમાં ખરી સત્તા રહેલી છે. આજે દેશી રાજ્યોની પાસે એવી સત્તા નથી ને તેથી ઉપયોગને અભાવે ઇચ્છા પણ ગઈ જેવી છે. એથી ઊલટું રૈયતની રક્ષા કરવાની સત્તાનો લોપ થયા જેવું થયું છે, અને રૈયતની ઉપર જુલમ કરવાની શક્તિમાં વધારો થતો જોવામાં આવે છે. જેવું વાવમાં હોય તેવું હવાડામાં હોય. સામ્રાજ્યમાં અરાજકતા છે, તેથી સામ્રાજ્યને તાબે રહેલાં દેશી રાજ્યોમાં પણ અરાજકતા છે. તેથી દેશી રજવાડાંમાં રહેલી અરાજકતા રાજામહારાજાઓને જ જવાબદાર નથી પણ વસ્તુસ્થિતિને પણ ઘણે અંશે જવાબદાર છે.

સમસ્ત હિન્દુસ્તાનની વસ્તુસ્થિતિ કુદરતી એટલે ઈશ્વરી નિયમની વિરોધી હોઈ બધે અવ્યવસ્થા ને અસંતોષ જોવામાં આવે છે. જો એક અંગ પણ વ્યવસ્થિત થઈ જાય તો બધે સુવ્યવસ્થા વ્યાપે એવો મારો દૃઢ અભિપ્રાય છે.