પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
દેશી રાજ્યોનો પ્રશ્ન


પશ્ચિમનું અનુકરણ

પણ પરદેશગમનનો સૌથી મોટો ગેરલાભ તો રાજાઓ પશ્ચિમની સંસ્કૃતિનું છીછરું અનુકરણ કરે છે તે છે. પશ્ચિમની સંસ્કૃતિમાંથી આપણને ઘણું શીખવાનું ને લેવાનું મળે છે, પણ તેમાંનું ઘણું ત્યાજ્ય છે. યુરોપનાં હવાપાણીને જે અનુકૂળ હોય તે બધાં હવાપાણીને અનુકૂળ હોય એમ માનવાનું કારણ નથી. અનુભવ તો એમ શીખવે છે કે, દરેક હવાપાણીને જુદી જુદી વસ્તુ અનુકૂળ પડે છે. પશ્ચિમના રીતરિવાજો પૂર્વને હજમ ન થાય. પૂર્વનાને પશ્ચિમ હજમ ન કરે. પશ્ચિમની પ્રજામાં સ્ત્રીપુરુષો સંયમપૂર્વક સાથે નાચી શકે છે, ને નાચતી વેળા મદ્યપાન પણ કરતાં છતાં તેઓ મર્યાદા જાળવી શકે છે એમ કહેવાય છે. આપણને આ રિવાજનું અનુકરણ કરીએ તો કેવું પરિણામ આવે એ મારે કહેવાનું ન જ હોય. હાલ અખબારોમાં ચર્ચાતો એક પાટવી કુંવરનો કેસ આપણને કેટલો શરમાવે છે!

નિરંકુશ ખરચ

બીજી ફરિયાદ રાજામહારાજાઓનાં નિરંકુશ ખરચોની છે. આ ખરચ દિવસે દિવસે વધતાં જ જાય છે. તેમાંનાં ઘણાં ખરચનો બચાવ કરવો મુશ્કેલ છે. રાજાઓને અમુક મર્યાદામાં રહી પોતાના ભોગવિલાસને અર્થે ખરચ કરવાનો અધિકાર ભલે હોય, પણ નિરંકુશ અધિકાર તો ન જ હોય, તેઓ ન ઇચ્છે, એમ હું માની લઉં છું.

મહેસૂલ પદ્ધતિ

રાજાઓની મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ પણ દોષરહિત નથી જોવામાં આવતી. તેઓએ અંગ્રેજી પદ્ધતિનો સ્વીકાર