પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

કોઈ પણ વિભાગમાં હું જોતો નથી. એ તાલીમ અને એ તૈયારી હોય તો અસહકારની આવશ્યકતા સિદ્ધ થયેલી છે એમ હું નથી જાણતો.

અત્યારે કાઠિયાવાડમાં શું કે હિંદુસ્તાનમાં શું, હું તો વ્યક્તિઓની તૈયારીની આવશ્યકતા જોઉં છું. વ્યક્તિમાં સેવાભાવ, ત્યાગવૃત્તિ, સત્ય, અહિંસા, સંયમ, ધૈર્ય, અસ્તેય ઇત્યાદિ ગુણો જોઈએ. આ ગુણોની કેળવણીને સારુ રચનાત્મક કાર્યની આવશ્યકતા છે. આપણે મૂંગે મોઢે પ્રજામાં ઘણું કામ કરીએ તો ઘણા સુધારા એની મેળે થઈ જાય.

મુત્સદ્દીવર્ગ

કાઠિયાવાડ મુત્સદ્દીવર્ગને સારુ પ્રસિદ્ધ છે. કાઠિયાવાડી મુત્સદ્દીમાં વિવક ઇત્યાદિની અતિશયતા છે ને તેથી તેનામાં દંભ, ભીરુતા, ખુશામત ઇત્યાદિ આવી ગયાં છે. આ વર્ગ શિક્ષિત છે. એટલે સુધારો ત્યાં શરૂ થવો જોઈએ. આ વર્ગ જો પ્રજાનું કલ્યાણ ઇચ્છે તો ઘણું કરી શકે. જ્યાં જ્યાં આ વર્ગમાં ચારિત્રવાન પુરુષો જોવામાં આવે છે ત્યાં ત્યાં પ્રજામાં સંતોષ જોવામાં આવે છે. મેં મુત્સદ્દીવર્ગની ટીકા કરી છે. મુત્સદ્દીમાત્ર ઉપરની ટીકાને પાત્ર છે. એવું કહેવાનો મારો આશય નથી. મુત્સદ્દીવર્ગમાંથી તો સુંદર રત્નો નીવડ્ચાં છે એવો મારો અનુભવ છે. એટલે મુત્સદ્દીવર્ગની આશા મેં છોડી જ નથી. મુત્સદ્દીવર્ગ ધનસંચયને સારુ નહિ પણ સેવાને સારુ રાજ્યોમાં નોકરી કરતો થઈ જાય તોયે ઘણાં શુભ પરિણામ નીપજે.