પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ


ઈતર વર્ગ

વળી જેઓએ રાજ્યની નોકરી છોડી કેવળ સ્વતંત્ર ધંધો પસંદ કર્યો છે તેઓને તો બધું અનુકૂળ છે. તેઓમાં ઉપરના ગુણોની વૃદ્ધિ જોવાને હું અધીરો થઈ ગયો છું. મૂંગે મોઢે સેવા કરનારા પ્રજાના સાચા સિપાઈઓની જરૂર છે. તેઓએ પ્રજામાં પ્રવેશ કરવાની જરૂર છે. આવી તૈયારીવાળા સેવકો આંગળીને વેઢે ગણી કાઢીએ એટલા નીકળશે. કાઠિયાવાડના પ્રત્યેક ગામમાં એવો એક એક સેવક પણ છે? આનો જવાબ મને નકારમાં જ મળે એમ હું જાણું છું. જે વર્ગ મારું ભાષણ વાંચશે તેને ગ્રામજીવનનું ભાન થોડું જ હશે. જેને ભાન હશે તેને તે ગમશે નહિ. છતાં હિંદુસ્તાન એટલે કાઠિયાવાડ પણ ગામડાંમાં વસે છે.

રેંટિયો

એ સેવા કેમ થઈ શકે? આમાં હું પ્રથમ સ્થાન રેંટિયાને આપું છું. રેંટિયાની અવગણના મેં બહુ સાંભળી. જે અત્યારે નિંંદાય છે તે જ વસ્તુ સુદર્શન ચક્ર તરીકે પૂજાવાનો વખત હું નજીક આવતો જોઈ રહ્યો છું. જે આપણે વાર્યા નથી કરતા તે હાર્યા કરશું એવો મારો દૃઢ વિશ્વાસ છે. હિંદુસ્તાનનું અર્થશાસ્ત્ર એ ચક્રની પાંખડીએ પાંખડીએ લખેલું છે. ગ્રામજીવનનો પુનરુદ્ધાર કેવળ તેની ઉપર આધાર રાખે છે. સૂતર કાંતવાના કામને હું ધંધા તરીકે નથી એળખાવતો. તે તો ધર્મ છે અને તે ધર્મ હિન્દુ-મુસલમાન બધા ધર્મીઓનો છે. બધા સંપ્રદાયનો છે. એ ચક્ર ફેરવતાં વૈષ્ણવ દ્વાદશ મંત્ર પઢે, શૈવી શિવનો જાપ જપે, મુસલમાન કલમો પઢે, પારસી ગાથા ભણે, ખ્રિસ્તી ઈશુએ શીખવેલી પ્રાર્થના કરે.