પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ
બે ભાષણો

પ્રારંભનું ભાષણ

આ પરિષદનું પ્રમુખપદ લેવામાં મને અત્યંત આનાકાની હતી એ મેં મારા ભાષણમાં જણાવેલું છે. પણ માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ. આના દાખલા મારા જીવનમાં મેં અનેક વખત જોયા છે. અને એવાં એક પણ વિચારશીલ સ્ત્રી કે પુરુષ નહિ હોય કે જેને એનો અનુભવ ન થયો હોય.

આ પરિષદમાં મારે એક જ વસ્તુને પ્રાધાન્ય આપવું પડશે એમ પણ માન્યું હતું, પણ સારે નસીબે હવે મારે બે વસ્તુને પ્રાધાન્ય આપવું પડશે. એક વસ્તુ તો ખાદી, જેના જેવી બીજી એક વસ્તુ મને પ્રિય નથી. કેટલાક મને રેંટિયાઘેલો - ખાદીઘેલો માને છે, અને એ વાત સાચી છે. કારણ આશકને જ માશુકની ખબર પડી શકે છે. આશક જ મહોબત, પ્રેમ, ઇશ્ક શું છે તે કહી શકે છે. હું આશક છું એટલે મને જ ખબર પડી શકે કે મારો પ્રેમ એ શું છે અને મારામાં શું અંગાર ધગી રહ્યા છે. પણ એ અંગાર વિષે હું ઉદ્‌ગાર નથી કાઢવા ઇચ્છતો.