પૃષ્ઠ:Divadi.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ : દીવડી
 

મને મારા નાનપણનો આ પ્રસંગ બરાબર યાદ આવે છે. એક રાત્રે હનુમાનના દેવાલયની નજીકના મકાનમાં આગ લાગી અને એ અંગે કોલાહલ મચી રહ્યો અને આખું ગામ ત્યાં ભેગુ થયું. હું તો નાનો હતો, છતાં હું પણ મારા ઘરનાં માણસો સાથે ત્યાં આવીને ઊભો; અને જોઉં છું તો અગ્નિની જ્વાળાઓ એક ઘરથી બીજા ઘર ઉપર નાચતી, દોડતી મેં નિહાળી. મકાનોનાં છાપરા અને છજાં કડકડ થઈને બેસી જતાં હતાં અને અગ્નિજ્વાળાનો વિસ્તાર વચ્ચે જતો હતો. ગામના ભેગા થયેલા લોકો આગને હોલવવા પ્રયત્ન કરતા હતા. એટલામાં કોઈએ બૂમ પાડી:

'મરી ગયા ! સંભાળો ! આગ મંદિરને ઝડપી લેશે !'

અને ત્યાં આવેલા આખા ટોળાંએ એક અજબ કંપ અનુભવ્યો. હનુમાનના મંદિરને આગ લાગે ? તો પછી ગામનું રક્ષણ કરનાર દેવનું સ્થાન કયાં રહેશે ? પોતાના અંગત ઘરને આગ લાગે અને તેને બચાવવાની જે તીવ્ર ઈચ્છા થાય તેના કરતાં હનુમાનના મંદિરને બચાવવાની ઇચ્છા સહુના હૃદયમાં વધારે તીવ્ર,વધારે વ્યાપક અને વધારે સામુદાયિક બની. ગામના નગરશેઠ જેવા એકબે ધનાઢ્ય પુરુષો આગ જોવાને અને બને તો આગ હોલવવાને ત્યાં આવીને ઊભા હતા. બૂમ સાંભળી તેમના શાંત મુખ ઉપર એકાએક પરિવર્તન થઈ ગયું અને તેમની આંખો વ્યાકુળ થઈ ગઈ.

એક શેઠિયાએ બૂમ મારી :

'અલ્યા, જોઈ શું રહ્યા છો ? મંદિરને આગ લાગી તો આવી બન્યું સમજો. ખાલી કરો કૂવા-ટાંકાં; અને એક એક ઘડે મારા તરફનો રૂપિયો ગણી લેજો.'

તેમની સાથે ઊભેલા બીજા શેઠનું મુખ પણ ગંભીર બની ગયું. અને તેમણે પણ કહ્યું :