સરખા માનપત્રને આદરપૂર્વક જોવા પણ લાગ્યો. ચંદ્ર આકાશમાં ખીલ્યો હતો. જાણે ચંદ્રકાન્તના યશનો સુવર્ણકળશ આકાશે ચઢ્યો હોય ! માનપત્રને વારંવાર જોઈ વખાણી ચંદ્રકાન્તે પત્ની તરફ જોયું. તેની પત્ની પણ સુવર્ણની બનેલી લાગી. ચંદ્રિકા રૂપાળી હતી અને તેનો રંગ પણ કંચન જેવો જ અત્યારે દેખાતો હતો. પત્નીને ચંદ્રકાન્તે કહ્યું :
'ચંદ્રિકા ! કવિઓની દ્રષ્ટિ બહુ સાચી હોય છે, નહિ ? '
'શા ઉપરથી કહે છે? તને માનપાત્ર આપ્યું તેથી?'
'ના. માનપત્રમાં તેઓ એક વાત ભૂલી ગયા છે તે ઉપરથી કહું છું.'
'એવું શું ભૂલી ગયા છે? તારી જોડે માનપત્રમાં મારાં પણ વખાણ થઈ ચૂક્યાં છે. અને તને તો નહિ પણ મને માનપત્રમાં સુંદર પણ કહી છે.'
'સુંદર શબ્દ તારા સૌંદર્યને પૂરતું વ્યક્ત કરતો નથી.'
'એટલે?'
'કવિઓ ભૂલી ગયા લાગે છે કે તારો દેહ કાંચનવર્ણો છે. કાંચનવર્ણો દેહ એ કવિઓનો પ્રિય વિષય છે. એ તારે અંગે કેમ ભૂલ્યા એનો હું વિચાર કરું છું.'
સંસ્કારી પતિ પોતાની પત્નીને અનેક રીતે રીઝવી શકે છે. અને તેમાં ય ગુણવર્ણન કરતાં રૂપવર્ણન વધારે અસરકારક નીવડે છે એમ ડાહ્યા પ્રેમીઓ જરૂર જોઈ શક્યા હશે. ચંદ્ર અત્યારે કાંચનનો ગોળો લાગતો હતો. ચંદ્રમાંથી ઝરતી ચાંદની વિશ્વમાં સુવર્ણ રંગ ઢોળતી હતી, અને સર્વ વસ્તુઓને સોને રસતી હતી. સોનાનો કુતુબમિનાર માનપત્રરૂપે પાસે જ પડ્યો હતો. અને પત્નીની કાયા પણ આ પાર્શ્વભૂમિમાં ન હોય તો યે સુવર્ણરંગી લાગે જ. જ્યારે ચંદ્રિકાની કાયા તો ખરેખર આ પાર્શ્વભૂમિ ન હોત તો પણ કાંચનવર્ણી હતી એટલે સુખ, સંતોષ અને સંસ્કારની ત્રિવેણીએ ચંદ્રકાન્ત