પૃષ્ઠ:Divadi.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ : ૨૧૫
 

ભોળપણનો ઘા માતાને વાગ્યો. છતાં તેણે કહ્યું :

'ગાય વગર વાછરડી ન રહે; બે સાથે જ વેચાય.'

ચંચળને લાગ્યું કે વાછરડી સાથે તેનો પોતાનો પણ જીવ ચાલ્યો જશે. તેણે છેલ્લો પાસો નાખી જોયો :

'મા !'

'અત્યારે મને બહુ બોલાવીશ નહિ. હું તને — ને આખી દુનિયાને – મારી બેસીશ !' દુ:ખી માતાપિતાની દુઃખઝાળ બાળકોને પણ દઝાડે છે. બાળકોને પડતી ધોલ ઘણી વાર કોઈ અદ્રશ્ય વ્યક્તિને માટે નક્કી કરી મૂકેલો પ્રહાર હોય છે.

'હું તો એટલું કહેતી હતી કે બાપુ ગાયના શુકને કામે જાય તો બધું દુ:ખ ના ટળે?' માએ પુત્રીના વહેમી સૂચનનો કશો જવાબ આપ્યો નહિ. માત્ર એટલું જ તેણે કહ્યું :

'હવે તું જા ! તારે કામે લાગ'

પરંતુ ચંચીને બીજું કાંઈ કામ જ ન હતું. એને કાંઈ કામ ન હોય એટલે ગાય પાસે આવી વાતો કરે. એને ટેવ પડી હોવાથી, તે ગાય પાસે તો ગઈ; પરંતુ ગાયની સાથે વાત કરતાં તેને ફાવ્યું નહિ. જે ગાયને વેચી દેવાની હોય તેની સાથે શું મુખ લઈને વાત કરે ? ગોરીની જાણે એ ગુનેગાર હોય તેમ તેની પાસે આવીને ઊભી રહી, અને તેને કાને બહુ દિવસે બાજી પટેલનો સાદ પડ્યો. થોડાં વર્ષોથી કાંઈ ન બોલતા બાજી પટેલ પોતાની જૂની ઢબે કોઈ સાથે વાતો કરતા સંભળાયા.

'એ ન બને, શેઠ !' બાજી પટેલે કહ્યું.

'પણ તમે મને બોલાવ્યો શું કામ ?' ગામના એક શાહુકારનો કંઠ ઓળખાયો.

'માફ કરો, મારી ભૂલ થઈ.'

'જુઓ, બાજી પટેલ ! હું આપું છું એટલી ગાયની કિંમત કોઈ નહિ આપે.'