પૃષ્ઠ:Divadi.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮ : દીવડી
 

સચવાયે ગઈ એમ મારે માનવું રહ્યું !

આ વાત સાંભળતાં મારી આંખમાં આછી અશ્રદ્ધા પ્રફુલ્લને દેખાઈ હોવી જોઈએ. વાત કરીને તે જરા અટક્યો અને મારી અશ્રદ્ધા પ્રત્યે તે સહજ હસ્યો.

'તારી અશ્રદ્ધા બહુ સાચી છે. કાન્તા ધારે છે એવો હું સજ્જન હતો પણ નહિ અને છું પણ નહિ.' પ્રફુલ્લે મને કહ્યું.

'તો પછી તું મારા મન ઉપર શું ઠસાવવા માગે છે?' મેં પૂછ્યું.

'દુષ્ટ દાનતથી જ કાન્તા પાસે ગયો હતો એ પણ મારે કબૂલ કરવું જોઈએ.'

'ત્યારે તું આ અગ્નિસ્નાનમાંથી વગરદાઝ્યે ચોખ્ખો કેવી રીતે પાછો ફર્યો?'

'કહું? એ કહ્યા વગર તારી ખાતરી નહિ થાય...મારી પ્રત્ની સિવાય આ વાત બીજા કોઈને મેં કહી નથી. હવે વધારામાં તને કહું છું.'

'જીવનમાં તને સફળતા મળી; તું બહુ ધનિક બન્યો; તું કહીશ એ સહુએ માનવું જ રહ્યું !' કટાક્ષમાં કહ્યું.

'સફળ માનવી અને ધનિક માનવી જે વાત સંતાડી રાખે તે હું તને કહું છું... નાનપણમાં હું ગરીબ હતો....મારે પણ ખાવાપીવાના વાંધા પડતા હતા એની તને ખબર છે ને?' પ્રફુલ્લે કહ્યું.

'હા...મારી સ્થિતિ પણે કાંઈ બહુ સારી ન હતી.'

'છતાં તારા ઉપર તારાં માતાપિતાની બન્નેની છત્રછાયા હતી. અને હું તો પિતાવિહોણો વિધવા માનો ઉછેર પામતો હતો.' પ્રફુલ્લે કહ્યું. એના મુખ ઉપર ગંભીર વિષાદ છવાતો મેં નિહાળ્યો.

'એ તો હવે જૂની વાત થઈ. આજ તું લક્ષાધિપતિઓમાં મોખરે છે. પાછલું બધું ભૂલી જા.'

'ભૂલી જ ગયો હતો; પરંતુ જે ક્ષણે કાન્તાએ એના પુત્રને