પૃષ્ઠ:Divadi.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૫૧
 

બેઠેલી નિહાળી. મેં સ્વપ્નમાં તેને પૂછયું :

'આજ બહુ દિવસે તું મારી પાસે આવી.

'જાણી જોઈને હું નહોતી આવતી. પરંતુ તારા જેવી પ્રેમહઠ બીજા કોની હોય ? તારા જેવો પ્રેમી ભાગ્યે જ બીજો હશે.' કુસુમે કહ્યું. મને સાચા પ્રેમી તરીકેનું આવું ભારે પ્રમાણપત્ર મળવાથી હું બહુ રાજી થયો.

'તો બોલ ! હવે તું રોજ રાત્રે મારા સ્વપ્નમાં આવીશ ને?' મેં પૂછ્યું.

'ના, સ્વપ્નમાં નહિ. જાગૃતમાં હું સતત તારી પાસે રહીશ...'

'એમ? તું ફરી સ્વદેહે...'

'સ્વદેહે નહિ, ઉષાદેહે ! કેવો મૂર્ખ છે તું? હજી એવો ને એવો જ...બાળક જેવો જ રહ્યો ! જોતો નથી હું ક્યારની ઉષાના દેહમાં તને મળ્યા કરું છું તે? સમજતો કેમ નથી?' કુસુમે મને ધમકાવીને કહ્યું,

'ત્યારે.મારી ધારણા ખરી પડી, એમ? તું જ મને ઉષામાં દેખાયા કરે છે એ સાચું, નહિ?' મેં આનંદપૂર્વક પ્રશ્ન કર્યો.

'એ જ સાચું. પકડી લે ઉષાનો હાથ...રખે વાર કરતો...'

કહી કુસુમ ઊડી ગઈ અને મારું સ્વપ્ન પણ ઊડી ગયું. હું જાગી ઊઠ્યો. કુસુમને નિહાળવા મેં મારી આંખને ખેંચી; પણ એ સ્વપ્નસુંદરી જાગ્રતમાં ક્યાંથી આવે ?

એ શું કહી ગઈ મને? સ્વપ્નમાં ઘણાં સત્યો પ્રગટ થાય છે ! સ્વપ્ન એ સાચા જીવનનો પડછાયો અને પડઘો બની રહે છે ! મૃત આત્માઓ ઘણી વાર સ્વપ્નમાં જ સાચા સંદેશ આપી જાય છે ! આત્મા હશે ખરો? ન હોય તો સ્વપ્નમાં પણ મૃતદેહ જીવંત સરખો કેમ દેખાય ? કુસુમ સરખી પરમ પ્રેમાળ પત્નીનું કથન સ્વીકારવામાં આનાકાની કરનાર હું કોણ?

એકાએક પલંગ ઉપરથી ઊઠી મેં ફોન હાથમાં લીધો અને