પૃષ્ઠ:Divadi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના : ૨૩
 

પોતાની કલ્પનાના બીબામાં દિવસે દિવસે અચલ નાનો પડતો જતો હતો, અને કોઈ કોઈ વાર એ સત્ય તેની પાસે એવાં વાક્યો ઉચ્ચારાવતું કે જે સોનાના માનસને અચલ આગળ પૂર્ણ રૂપે પ્રતિબિંબિત કરતું.

'તારી છેલ્લી વાર્તા બહુ વખણાઈ, અચલ !' સોનાએ કહ્યું.

'હા.' અચલે કહ્યું. ઘણી વાર અચલ સોના સાથે લંબાણથી વાતચીત કરતો નહિ, અને ઘરમાં પોતાની અવરજવર પણ અનિયમિત બનાવવાનું અચલે શરૂ કર્યું હતું.

‘વખાણ સર્વથા સાચાં હોય ખરાં ?'

'ના, જરા ય નહિ.'

સોના સહજ હતી. એના હાસ્યમાં કોઈ ગૂઢ પ્રશ્ન હતો. કદાચ અચલ એ પ્રશ્ન સમજી પણ ગયો હોય; પરંતુ એણે પ્રશ્ન કે ઉત્તરનું સૂચન ન કરતાં પોતાની નવી વાર્તા શરૂ કરી. પતિપત્નીના સંબંધ કોઈ કોઈ વાર હરીફાઈના સંબંધ બની જાય છે, અને એ હરીફાઈ માનસિક કે શારીરિક યુદ્ધે ચડે ત્યારે સમાજ છૂટાછેડા પુકારે છે. બહુ ઓછું બોલતા કટાક્ષને ન ગણકારતા, કલ્પનાના બધા રંગોમાં બંધ બેસતા ન આવતા, પ્રશ્નોત્તરીમાં ઊતરી પત્નીનો વિજ્ય ન સ્વીકારતા પતિને આર ઘોંચી ઉશ્કેરવાનું મન કોઈ પણ પત્નીને થાય એમાં નવાઈ નહિ. સોનાએ પૂછ્યું.

'વખાણ સાચાં નહિ તેમ વાર્તા પણ સાચી નહિ; ખરું ?'

'એટલે ?'

'તેં જે વીરરસભર્યાં પાત્રો સર્જ્યાં છે એ સાચાં નહિ જ ને?'

'જૂઠાં તો નહિ જ.'

'મને એમ કહે ને કે તેં જે વીરતા વર્ણવી છે એમાંની તું કયી વીરતા બતાવી શકે?'

'સોના તારું કહેવું સાચું હશે. લેખક તરીકે તે મારી ચીતરેલી છબી કરતાં હું વધારે કદરૂપો નીવડ્યો છું...પણ વિચાર, ભાવના,