શિક્ષકોએ સૂચન કર્યું કે ભાઈને પરદેશ મોકલી અભ્યાસ કરાવો. નેતાઓ અને ધનિકોને એમાં કશી હરકત આવતી નથી. 'સ્વદેશી ભણતર સારું ! પરદેશી કેળવણીની ચમકમાં ન ફસાવું ! પશ્ચિમની કેળવણી એ ગુલામી ઉપજાવનાર મોહજાળ !' એમ વારંવાર કહી ચૂકેલા નેતાઓ પોતાના પુત્ર-પુત્રીને પહેલી જ તકે યુરોપ-અમેરિકાની કેળવણી લેવા અને પરદેશી ડિગ્રીઓના ભાવિ લાભ અપાવવા પરદેશ મોકલી જ દે છે. ધનિક નેતાઓની માફક બનતાં સુધી ભાષણ કરતા જ નથી. એટલે કાંઈ પણ બોલ્યા વગર પિતાનાં પુત્ર-પુત્રીને એ લાભ અપાવી શકે છે.
આપણે પણ પરદેશ કેમ ન જઈએ ? ગરીબો અને મધ્યમ વર્ગનાં બાળકોને–વિદ્યાર્થીઓને આવી ઈચ્છા ન થાય એમ તો આપ માનો જ નહિ. ધનવાનના દીકરાને કે અમલદારના દીકરાને, પરદેશની કેળવણીનો લાભ મળતાં એ પાછો ધનિક કે અમલદાર જ થવાને પરંપરાની કારકુની કરી જીવન ગુજારતા આપણે દેશના ભણેલા લાખો માનવીઓને ખબર હોય જ. એટલે પરદેશ જઈને પરદેશી ડિગ્રી મેળવી ઊંચા અમલદાર બનવાની ગરીબ વિદ્યાર્થીએને પણ ઈચ્છા થાય એમાં ગરીબનો દોષ શો?
દોષ માત્ર તેમનાં નસીબનો કે તેમને પરદેશ જવાનું સાધન ન મળે ! તેમને પૈસા પણ કોણ ધીરે? શા ઉપર ધીરે ? તેમના સાધનમાં માત્ર ચોરી ! લૂંટ કરવા જરા હલકો ગુનો, ખરું સાહેબ ? માગ્યે તો પૈસા મળે જ નહિ !
અડગ નિશ્ચયને કશું અશક્ય નહિ. મારી નજર ચારે પાસ ફરી વળી. મેળાની ગીરદીમાં ફરતા કોઈ સજ્જનની ઘડિયાળ સાથે સોનાનો અછોડો, સિનેમાના અંધકારમાં કોઈ પુરુષનો હાથ શોધતા સ્ત્રીના હાથ ઉપરની બંગડી, લગ્નગાળામાં બાળકને પહેરાવાતા ખીચોખીચ અલંકાર : એમ ચોરનારને ઈશ્વરદીધા ધન્ય સંજોગો અને સાધનો ઊભાં થયાં; એને ચોરીનો માલ રાખનાર અનેક