પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


જ્યારે ભાગવતની કથા કરતાં કૃષ્ણ યમુનામાં પડતાં જશોદાએ કરેલા વિલાપનું વર્ણન કરતા કે ગોપિકાગીત ગાતા ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતાં. પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમનાં જૂનાં ધરાકો અને ગિરાસ તેના કંકાસિયા કાકા પાસેથી એની મેળે પાછાં આવ્યાં. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારા પણ કર્યા. તે મોટી ઉમ્મરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉમ્મરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં સુખી ગણાતું. હરકોરને રસાઈ ઘણી સારી અને ત્વરાથી કરતાં આવડતી. તેના જેવી, પાતળી, મોટી ફૂલેલી અને બરાબર ચોડવેલી રોટલી કોઈક જ કરી શકતું અને પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઇ ન કરી શકતું અને એક જાડી વાટ કરતાં એ પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી. પણ આ સુખ ઝાઝા દિવસ ટક્યું નહિ. નવ વરસની ગંગાને અને છ વરસના મુકુન્દને મૂકી હરકોર ગુજરી ગઈ. રઘનાથને સારા સારા ઘેરથી કહેણ આવ્યાં પણ મોટી ઉમ્મરે ફરી પરણવાની તેણે ના પાડી અને છોકરાંને ઉછેરીને મોટાં કરવા ઉપર જ જીવન ગાળવા માંડ્યું. છોકરાં નાનાં હોવાથી અને સગાં દ્વેષીલાં હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડ્યું; છતાં કરકસરથી અને અંગમહેનતથી તે સારી રીતે રહી શકતા અને પાંચ પૈસા બચાવી પણ શકતા. ગગા ચૌદમે વર્ષે વિધવા થઈ એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડયેા. પશ્ચિમવયમાં આ ઘા ઠેઠ સુધી રૂઝાઇ ન શક્યો. ગંગામાં માતાની

૮૦