પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ઘરનું કામ કર્યું. તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખતે રઘનાથ જ પહેલા બોલ્યાઃ “ આપણે અંબાજી ગયા હતા તે યાદ છે?"

વિષયાન્તરની આશાથી ગંગાએ કહ્યું: "હા."

"ત્યાંથી કુંભારિયાનાં દેરાં જોવા ગયેલાં તને યાદ છે?"

"હા."

“ એ દેરાં વિમળશાએ બંધાવેલાં. ”

“ એમ કે ? ”

“ એ વિમળશા અબાજીના ભક્ત હતા." પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો. અને તે સરળ ઉત્સાહથી હાંકારો દેવા લાગી. "તે એક વાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવના પગથિયા પર એક વણઝારો બેઠો હતો તેણે પાણીનો પૈસો માગ્યો. વિમળશાએ ‘ શેનો ’ એમ પૂછ્યું, વણુઝારાએ વાવનો શિલાલેખ ખતાવી કહ્યું કે ‘ આ વાવ બંધાવનાર પીથો મારો દાદાઓ થાય. અમારી સ્થિતિ બગડી ગઈ એટલે હું મારી બાપુકી વાવ પર લાગો લેવા આવ્યો છું.’ વિમળશાને થયું કે મેં આવાં દેરાં તો બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત જાગે તો મારાં દેરાંનીય આવી દશા થાય!" ગંગાનો હાંકારો શિથિલ પડતો ગયો -. "પછી અંબાજી પાસે ગયો. તેને અબાજી પ્રસન્ન હતાં. તેમણે કહ્યું: ‘બેટા માગ, માગ.' વિમળશાએ કહ્યું: ‘ મા, બીજું કાંઈ ન માગું, માગું એક નખ્કોદ.” —હવે ગંગાનો હોંકારો નિ:શ્વાસ જેવો થઈ ગયો હતો.-- "બીજી વાર કહ્યું: ‘ માગ, માગ '; ફરી વાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજી વાર પૂછ્યું; ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું." ડાસા ફરી નીરવ શાન્તિમાં પડ્યા.

આખા ઘરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી.

૯૬