પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


પાસે બેઠેલામાંથી હરજીવને ઊભાં થતાં થતાં કહ્યું: “ આ વરસ એક નામ હું સૂચવી શકું એમ છું."

પ્રમુખઃ “કોનું? ટ્રસ્ટની કલમ પ્રમાણે એ બાબત સાબીત કરી આપવી પડશે."

“ નામની પછી વાત. પહેલાં સાબીત કરી આપું તે સાંભળો. પછી સાબીત થયું ગણો તો નામ આપું.”

પ્રમુખઃ “ ભલે.”

કોઇ વકીલ કેસ ચલાવતો હોય તેમ હરજીવન ટેબલ પાસે ઊભો રહ્યો. થેલીમાંથી તેણે તા, ૨૮ મી ઑગસ્ટનું 'પ્રજાબંધુ' કાઢ્યું, અને વાંચ્યું: “ 'એલિસર્પાબ્રજ ઉપર થયેલો અકસ્માત. ગઇ તારીખ ૨૨ મીના રોજ નદીના વેણામાંથી એક મુસલમાનની લાસ મળી આવેલી છે. તેની લાસ વિશે તપાસ કરતાં માલૂમ પડયું છે કે મૈયત એલિસબ્રિજના ફૂટપાથના કઠેડાના નળે પગ ભરાવીને બેઠેલો ત્યાંથી દારૂના ઘેનમાં નીચે પડી જવાથી ડોક ભાંગવાથી તેનું મરણ નીપજેલું છે. મૈયતનાં કોઇ સગાં કે વારસ મળી આવતાં નથી. તેમ તેનું નામ ઠામ જણાતું નથી."

“ આ લાસ જડી તે દિવસે સવારે હું તથા મારા મિત્ર, અરે વિદ્વાન મિત્ર, વકીલ મિ. વિષ્ણુપ્રસાદ જાની એલિસબ્રિજ ઉપર ફરવા ગયા હતા અને નીચે લાસની તપાસ થતી અમે જોઇ હતી. મારા મિત્ર ફરવા ચાલ્યા ગયા અને હું લાસ જોવા નીચે ગયો હતો. ત્યાં શું શું થયું તે સંબંધી અહીં હું કશું કહેવા માગતો નથી. એ કહેવાથી આપણી પોલિસ, જે દૈવી શક્તિ ધરાવે છે તેની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા અને પરમ ન્યાયીપણાને બાધ

૧૦૮