"અરે ! ગુજરાતી છે. આખા એસાઈલમમાં એ એક જ ગુજરાતી છે. ક્યાંથી આવી ચઢ્યો તે પણ જણાતું નથી."
ગુજરાતી જાણી મને વધારે જિજ્ઞાસા થઇ. અમે બન્ને તેના તરફ ગયા. ખુરશી પર બેઠા બેઠા દરદી બહુ જ ઝપાટાબંધ કૈંક લખ્યે જતો હતો. અમારા તરફ તેની પીઠ હતી. ડોકટરે જણાવ્યું કે તેને મેનિયા (ઉન્માદનો તંત ) છે. લખવા ન મળે તો તેના ઉન્માદ વધે છે.
અમારી વાતચીતથી તેણે અમારા સામું જોયું. કસાણું મોં કરી કહેઃ “ વળી પાછા મારો ફોટોગ્રાફ લેવા આવ્યા ! હજી હમણાં જ એક જણ લઇ ગયો. જ્યારથી નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારથી ફૉટોગ્રાફ, હસ્તાક્ષર, મુદ્રાલેખો, મુલાકાતો હમેશ ચાલ્યા જ કરે છે. પણ અમારે તે નર્યું તમને જ મળવું કે બીજું કાંઇ કામ કરવું ? બિચારા ટાગોરની પણ આ જ દશા થઇ હતી."
મને અવાજ કંઇક પરિચિત લાગ્યો. મેં પૂછ્યું: " તમારું નામ ?
"તમે મને આમ પજવો છો તેના કરતાં મને સાહિત્યનું કામ કરવા દો તો દેશને કેટલો ફાયદો થાય !"
"મેં કહ્યું: “ થાય જ, આપનું નામ? "
"હાં! પેલામાં ‘હંસ ' રાખેલું છે."
"ત્યારે આપનું ખરું નામ શું ?"
" 'કુંભીપાક' 'માં મેં ‘ ધંતુરો ' નામ રાખેલું. ' સરસ્વતી ’માં 'સન્યાસી.' પેલા બીજામાં...તમે જ કહો જોઉં, વળી શું રાખ્યું હશે ?"
મેં કહ્યું: "હું શું કહી શકું ? ”