પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१६


વાર્તામાં બનાવને હયાતીમાં લાવનાર વ્યક્તિઓના ખ્યાલ વિના બનાવનો ખ્યાલ આવી શકતો નથી. પણ ટૂંકી વાર્તામાં વ્યક્તિઓના સ્વભાવ અને બનાવની મુખ્ય સાંકળ જકડવાની હોય છે અને તેથી ટૂંકી વાર્તામાં ચિત્તશાસ્ત્રનું એકાદ પ્રકરણ લખવાની મહત્ત્વાકાંક્ષા અસ્થાને છે; જો કે નાના સરખા પણ વિલક્ષણ બનાવને સમજવા એકાદ માણસનો આખો માનસિક ઇતિહાસ આપવાની જરૂર પડે એ સમજી શકાય અને ઘટાવી શકાય એવી છૂટ છે.

આ જો સાચું હોય તો એમ કહી શકાય, કે ટૂંકી વાર્તાની વિશેષતા મનુષ્યસ્વભાવ, જગતની પરિસ્થિતિમાં એ મનુષ્યસ્વભાવમાંથી ઉપજતા બનાવ, અને એ બનાવની સાથે સંકળાઈ રહેલી લાગણીની મુખ્ય સાંકળ શોધી કાઢવામાં, અને તે મનુષ્યસ્વભાવના અને બનાવના, ભાવકના હૃદયમાં સરલ રીતે ઉચિત લાગણી વ્યક્ત કરે એવા, વર્ણનમાં રહેલી છે.

ટૂંકી વાર્તામાં એક જ બનાવ અથવા એક જ સ્થિતિ હોવી જોઈએ, એ ટૂંકી વાર્તા માટે બહુમાન્ય થયેલો નિયમ ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થઇ શકે છે. પણ મારી સમજ પ્રમાણે બનાવની સંખ્યા એ બહુ ભાર દેવા જેવો અને નક્કી કરી શકાય એવો વિષય નથી; અને કથામાં પણ મુખ્ય બનાવ તો એક જ હોય છે. ટૂંકી વાર્તામાં લાગણી કે રસ એક જ હોવો જોઇએ, એમ પણ કહી શકાતું નથી; કારણ કે કથામાં પણ મુખ્ય રસ તો એક જ હોય છે. બનાવની એકતા અને રસની એકતાથી કથા તેમજ ટૂંકી વાર્તા બન્નેનાં શરીરને અંકિત થવું પડે છે; પણ મનુષ્યસ્વભાવ અને બનાવની મુખ્ય સાંકળના નિરૂપણમાંથી જ રસાસ્વાદ ઉત્પન્ન કરવો એ ટૂંકી વાર્તાની ખાસિયત દેખાય છે; કારણ કે કથામાં પણ જો કે આ મુખ્ય