પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


સાહિત્યમાં થોડું સારું લખ્યું હતું પણ તે પછી તેમને કોણ જાણે શાથી એમ જ થયું કે બધા પ્રતિષ્ઠિત સાક્ષરોની સામે લખવા માંડયું. એક બેની ખોટી પ્રતિષ્ઠા હતી તે નષ્ટ થઈ, પણ પછીથી મનહરલાલ પોતે કશું સારું ન કરી શક્યા. હું જાળવીને રમતો હતો. મારી ત્રણ સોગઠીઓ પાકી ગઇ પણ છેલ્લી બૂંદમાં સુતી, તે કેમેય પાકે નહિ. બધા મને બૂંદિયાળ કહી ચીઢવવા લાગ્યા અને મારું નામ પાડ્યું કેવળરાય: જેઓ ઘણાં વરસથી સાહિત્યમાં સૂતા સૂતા કામ કરે છે, સૌથી પહેલાં લખવું શરૂ કર્યું છે પણ હજી કશામાં પ્રગતિ કરતા નથી. હું ઘણો ચીઢાયો અને છેવટે ચોપાટનો ઉલાળિયો કર્યો.

સાંજ પડવા આવી હતી. કપિલરાય ઊઠ્યા. મેં કહ્યું: "કેમ કપિલરાય, હમણાં તો કાંઇ તમારા લેખો નજરે ચઢતા નથી ?" કપિલરાયે હસતાં હસતાં કહ્યું: “ મારા લેખ પકડાય ત્યારે થઇ રહ્યું. કેટલાયને મેં તર્કો કરતાં જોયા છે, પણ કોઇ મને ઓળખી શકતું નથી. દરેક લેખમાં મારું તખલ્લુસ જુદું ! ” મેં કહ્યું: “ના, ના ! પણ હમણાં કાંઇ લખતા તો હશો ના !" તો કહે "અરે સમજી લેજો કે થોડા દિવસોમાં સાહિત્યમાં મોટો ખળભળાટ થઇ જવાનો છે !" અમે મે વસ્તુ તરફ આશ્રયં બતાવી તે વખતે તે જુદા પડ્યા.

તે પછી ત્રણેક મહિના પછી સરસ્વતી પત્રિકામાં એક ‘ સરસ્વતી ચૌસર ' નામનો લેખ આવ્યો. ઘણાએ મથાળા પરથી ધાર્યું કે સરસ્વતીના કંઠના ચાર સરનો હાર એવો અર્થ હશે; પણ્ લેખ નીચે ટીપ કરી હતી, કે હિંદીમાં ચાપાટને ચૌસર કહે છે. તેમાં આપણા સાહિત્યના પ્રસિદ્ધ સોળ સાક્ષરો લીધા હતા અને તેમના ચાર તફા પાડ્યા હતા.

૧૫૧