પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


ઇનકાર કરી ખરું નામ કેમ ન આપ્યું? જો શત્રુભાવે કપિલરાયનું નામ આપતા હોય તો તેમના કથન ઉપર કેટલો વિશ્વાસ રાખવો એ વાંચનારે સમજી લેવાનું છે. ”

અમે તો ભયાશ્ચર્યચકિત થઇ ગયા. ફરી વિચાર કરી ફરી ખુલાસાવાર લખ્યું તેમાં અમે ચોપાટ ખેલતા હતા તે વાત—તેમાં સાહિત્યની ભાષા ચોપાટને લગાડવાની કલ્પનાનું સઘળું માન કપિલરાયને જ આપ્યું હતું તે—ઉપરથી તેમણે જ તે લખેલો હોવો જોઇએ, અને શરમાળ અને નાજુક પ્રકૃતિના હોવાથી જાહેર યશ ન લેવાની ઈચ્છાથી તખલ્લુસ જ આપતા, એ જ કારણથી છતા ન થયા, પણ આવી ચર્ચાથી પોતાનો એક સારો લેખ બીજાને નામે ચઢે એનો આઘાતથી તેમને તથા સાહિત્યને કોઈ હંમેશની હાનિ થવા સંભવ છે, માટે ખરી હકીકત બહાર પાડવાની ફરજ સમજી આ લખેલું છે, એવી મતલબનું ચર્ચાપત્ર લખ્યું. એ સાથે તંત્રીને ખાનગી કાગળ લખ્યું. તેમાં હૉસ્ટેલમાંથી ચાલ્યા જવાના ખબર આપ્યા અને તે આપધાત કરે એવી ભીતિ અમને છે, એ પણ જણાવ્યું.

આ ચર્ચાપત્ર પણ છપાયું, પણ તંત્રીની ટીપ વિના નહિ. આ વખતે તંત્રીએ વધારે બગાડ્યું હતું. "આવો પ્રાણવાન લેખ કપિલરાય જેવી નિર્મળ વ્યક્તિ લખે જ નહિં. કપિલરાયના રોગિષ્ટ માનસને સાહિત્યયશનો લેપ કરી તંદુરસ્ત કરવા તેમના મિત્રોની આ કોશીશ છે. મિત્રોનો ઇરાદો શુભ છે, પણ સાહિત્યને માત્ર સત્ય સાથે જ સંબંધ છે. એક કપિલરાય શું પણ અનેક કપિલરાયને ગમે તેટલી હાનિ થાય તે કરતાં સાહિત્યના એક સત્યની કિંમત ઘણી વધારે છે."

૧૫૮