પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
३०


ડિટેક્ટીવ વાર્તાના બંધારણની દષ્ટિએ વિચારીએ તો આ વાર્તા એક સફળ અખતરો લાગશે; પણ મારે કબૂલ કરવું જોઇએ, કે આ વાતમાં હરજીવનનું સ્વભાવનિરૂપણ જેટલું આકર્ષક લાગે છે તેટલો ‘ ખૂનનો ખુલાસો ' આકર્ષક લાગતો નથી. દ્વિરેફ વકીલ અને પ્રમાણુશાસ્ત્રી બન્ને છે, એટલે ગુનાના શોધની આખી તર્કપરંપરા સુશ્લિષ્ટ હોય એમાં નવાઈ નથી. અખાડાના મેળાવડામાં જે રીતે આખો સ્ફોટ થાય છે તે પણ આકર્ષક છે અને બીકણ પ્રમુખને લોકો 'ઇન્કમ ટેક્સ ' આદિ બૂમો પાડી ગભરાવી કાઢી મૂકે છે તે તોફાની હાસ્યનો નમૂનો છે. છતાં આવી વાતોના નિરૂપણમાં ગૂઢ ગુનાનાં ક્રમિક ઉદ્ઘાઘાટને મુખ્ય ધ્યાન ખેંચવું જોઇએ. તેના સ્થાને આ વાર્તામાં હરજીવન અને તેના વકીલ મિત્ર વધારે ધ્યાન ખેંચે છે.

'કપિલરાય ’ એ તખલ્લુસોની કરુણ કથા છે; પણ એમાં તખલ્લુસોની મશ્કરી તો ઉપકિયા છે. ખરી મશ્કરી તો અકાલે પક્વ થઇ જતા પણ ખરેખરા પરિપાક કદી નહિ પામતા, અને કોઈ પણ રીતે સાહિત્ય ક્ષેત્રમાં નામ મેળવવાના મહત્ત્વાકાંક્ષી, અનેક વાર પરીક્ષાઓમાં નપાસ થતા ગુજરાતી યુવાનની છે. આ વાર્તામાં પણ હાસ્ય તો પુષ્કળ છે, પણ ખાસ ધ્યાન ગાંડાના મનનું પૃથક્કરણ ખેંચે છે.

આ નવ વાતોમાં લેખક ગુજરાતના ચાલુ જીવનમાંથી વસ્તુ લઈ તેને ભિન્ન ભિન્ન બનાવોમાં ગોઠવી વિવિધ પ્રકારના હાસ્યનું ભાન કરાવે છે. પણ આ હાસ્યની પાછળ જે દૃષ્ટિ છે તે વસ્તુને હસી કાઢવાની નથી; આ હાસ્યની પાછળ લગભગ દરેક ઠેકાણે એકાદ આંસુનું બિન્દુ ક્યાંક લાગી રહેલું હોય છે અને જ્યાંસુધી એ આંસુનું બિન્દુ જડે નહિ ત્યાંસુધી આ વાતોનો રસાસ્વાદ પૂરો થતો નથી, એમ મને લાગે છે.