પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો.


પોતે હોય તે કરતાં ઓછી ઉમ્મરનો દેખાય છે એ સૌભાગ્ય કોને નથી ગમતું ?

રમણલાલ ચંડીસરની મુખ્ય મ્યુનિસિપલ નિશાળનો હેડમાસ્તર હતો. શિક્ષક તરીકે કામ ઘણું સારું કરતો, વિદ્યાર્થીઓનો ખાસ પ્રિય હતો, ગામમાં ઘણાં વરસથી રહી લોકોમાં ઓળખાણ પિછાણવાળો થયો હતો, બોલવામાં જરા બટકબોલો હતો, અને તેથી જ તેની સાથેના માણસોમાં જેમ કેટલાકને પ્રેમપાત્ર તેમ કેટલાકને તિરસ્કારપાત્ર પણ થયો હતો.

ઉપરીઓ સાથે તેને આ કારણથી બનતું નહિ. અસહકાર શરૂ થયા કે તરત જ તેણે અસહકારનો ઝંડો ઉપાડ્યો અને પોતાની વગથી અને તનતોડ મહેનતથી નવી રાષ્ટ્રીય શાળામાં ઘણા વિદ્યાર્થીઓને આણ્યા અને શાળાનું કામ સરસ રીતે ચાલવા માંડયું. આથી તેને શાળાની વ્યવસ્થાપક સમિતિમાં રાખવો પડ્યો હતો, જો કે તે બીજા વ્યવસ્થાપકોને ગમતી વાત નહોતી.

રજાઓ પૂરી થઈ અને શાળા જુન માસમાં ઊઘડી છતાં રમણલાલ ન આવ્યો. શાળાની વ્યવસ્થાપક સમિતિ ત્રીજે દિવસે મળી અને સમિતિના સભ્યોને, આજે માસ્તર નહિ આવ્યાથી શાળામાં કેમ ચાલે છે, ત્યાં કાંઇ તરત કરવા જેવું છે કે કેમ, એમાંનો એકેય વિચાર આવતો નહતો. તેઓ તો માત્ર રમણલાલ વિશે જ અનેક વિચારો કરવામાં મશગૂલ હતા.

મગનલાલ : લ્યો જોયું! પહેલા જ વેકેશનમાં ન આવ્યા !

છોટાલાલ : હું તો કહેતો હતો કે એ કાઠિયાવાડીઓનો વિશ્વાસ જ ન કરવો.

વિરમગામીને એ ખાસ ગેરફાયદો છે. કાઠિયાવાડીઓ તેને ગુજરાતી તરીકે અને ગુજરાતીઓ તેને કાઠિયાવાડી તરીકે લુચ્ચો ધારે છે.

૧૦