પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


મૂકવી, તેમાં આગ્રહ ન રાખવો. એ મુજબ જો કે મારા અંતઃકરણનું દર્દ હજી શાન્ત થયું નહોતું છતાં, મારી ગત સ્ત્રીના મરણના તેરમાને દિવસે જ, કન્યાની ઉમ્મર મારી ઉમ્મરના અર્ધથી નાની હતી છતાં, અમારી નાતના પ્રસિદ્ધ શાસ્ત્રી પૂરણરામની પુત્રી સાથે વિવાહ કરવાની મારે સંમતિ આપવી પડી. એ કન્યાની શોધ મને દિલાસો દેનારાઓએ જ કરેલી અને તેમની પાસેથી જ મેં સાંભળ્યું હતું કે શાસ્ત્રીએ તેને એક આદર્શ હિંદુ ધર્મપત્ની બનાવવાને શ્રેષ્ઠ કેળવણી આપેલી હતી. તેને ડાયાભાઇ ધોળસાજીનાં સતીત્વ સબંધી ગીતો મોઢે આવડતાં, તે હંમેશાં સત્યવાન સાવિત્રીના ચરિત્રનો પાઠ કરીને જ ખાતી, સતીમંડળના બન્ને ભાગો ખરાખર વાંચી ગઈ હતી અને સતીધર્મ સમજતી હતી.

મારું લગ્ન થઇ ગયું. શું કહ્યું ? ‘ મારી પત્નીનું નામ શું’? એ પ્રશ્ન તમે વળી ક્યાં પૂછ્યો ? હું કહું છું તમે વચમાં બોલ્યા જ શા માટે ? એ પ્રશ્નથી મારી કર્મકથાનો ભયંકર પ્રસંગ બન્યો હતો. કેમ તમને એમ લાગે છે કે હું જૂના મતનો છું અને નામ દેતાં શરમાઉં છું? ના, એમ નથી. લોને એ જ કહું એટલે તમને ખાતરી થશે.

પરણ્યાને બેએક માસ થયા હશે. મારે ઘેર એક મારો જુનો મિત્ર આવ્યો. મને અભિનંદન આપ્યું. અમે જમતા હતા. મારી સ્ત્રી તેને આવડે તેવું રાંધતી હતી. મારા મિત્રે આ જ પ્રશ્ન કર્યો. મેં કહ્યું: ‘ વિમળા.' પણ તે કહેતાં તો વજ્રપાત થયો હોય તેમ વિમળાને મૂર્છા આવી, તેનું માથું ચૂલામાં પડ્યું. મોઢું દાઝી ગયું અને મેં તેને ઉપાડી ખાટલામાં સુવાડી મારા મિત્રને દાક્તરને ત્યાં મોકલ્યો.

૪૬