પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


દિવસથી મારો ફોટોગ્રાફ લઈ તેના પર ચંદન અક્ષતનો પૂજાવિધિ થતો જોઇ મને નિરાંત વળી.

હવે મુખ્ય વાતની ચિંતા મને મટી ગઇ, જો કે હજુ કોઈ કોઈ વાર વચમાં વિઘ્ન આવતાં. છોટુએ મારો ફોટોગ્રાફ જોવા લીધો, પછાડ્યો અને ફૂટી ગયો તે દિવસ સતીને બહુ અમંગળની શંકા આવી, તે કાચ કાઢી નાખીને મારે દૂર કરવી પડી, અને સતીને સમજાવવી પડી કે દેવ તારી પૂજામાં કાચ જેવો પારદર્શક અંતરાય પણ રાખવા માગતા નથી તેથી તેમ થયું હતું. ત્યારથી ફોટોગ્રાફ્ ઉપર બધા સંસ્કારો થવા લાગ્યા. અને એક રીતે એ જ મારા ખરો આત્માનો ફોટોગ્રાફ બન્યો. એ ફોટોગ્રાફ અત્યારે જુઓ તો તેના પર ચંદન અક્ષત ઘૃત વગેરેના એટલા ટેકરા અને પડ ચડ્ચાં છે કે તે ઓળખાય તેવા રહ્યો નથી, અને મારા આત્માનું પણ એવું જ થયું છે.

હવે તમે સમજ્યા હશો કે સતીને શાથી મૂર્ચ્છા આવી હતી ! કેમ, હજી નથી સમજ્યા ? તમે પણ મારા કરતાં વધારે બુદ્ધિશાળી દેખાતા નથી. મને પણ તે દિવસે નહોતું સમજાયું. પણ મારી મૂંઝવણમાં ફરીથી સતીએ જ મદદ કરી. તેની મૂર્છા વળી એટલે મને કહે: “જો તમને માથામાં વેદના થાય તો મને બેઠી કરીને મારા ખોળામાં માથું નાખીને સૂઈ જજો. યમરાજ આવશે તો તેને પણ હું જવાબ દઈશ." પ્રથમ તો। મારી મૂંઝવણ વધી. સતીને સાવિત્રીનું સત ચઢ્યું હતું એટલું સમજાયું, પણ મારા મરણની આગાહી કયા નારદજી કહી ગયા તે સમજાતું નહોતું. છેવટે સતીએ જ કહ્યું: “ સ્ત્રી-પુરુષ જો એકબીજાનું નામ દે તો તેમનું આયુષ્ય ઘટે છે એવો

૫૪