પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


એવું કાંઈ હશે. પણ પોતાના સૌભાગ્ય ઉપરાંત બીજા કોઇના સૌભાગ્યની દરકાર કરવાનો સતીને અવકાશ નહોતો. દાબડી ઉઘાડી તેમાંથી મગ દેખાડી સતીએ કહ્યુંઃ “ સવારમાં ઊઠી દાતણ કરી આમાંથી એક મગ ખાજો. એટલે પછી તમારે જમવાનું ગમે તેટલું મોડું થાય તોપણ મારે વાંધો ન આવે.” તમે નહિ સમજ્યા હો. પણ હું હવે સતીની સાથે એટલો વખત રહ્યો હતો કે આ સૂચનાનું રહસ્ય તરત સમજી ગયો. સતી મારા જમ્યા પહેલાં કાંઈ ખાતી નહોતી અને તે નિયમનો ભંગ કોઇ રીતે ન થવા દેવાનો આ ધાર્મિક વિધિ હતો. હવે આખા જીવનની ફિલસૂી મારા મનમાં ચોક્કસ થઈ ગઇ. તેના વિધિ પણ નક્કી થઈ ગયો. તેમને અમલમાં મૂકવાનો વખત પણ માજીના મરણથી આવી ગયો. મેં તરત બદલી માગી. અહીં આવ્યો ત્યારથી મારું જીવન એકસરખું જ ચાલ્યું જાય છે. સૂર્ય ચંદ્રની ગતિમાં ફરક પડે, પણ મારા નિયમોમાં કદી ફરક પડતો નથી. તમારે સાંભળવા છે ? હાસ્તો, અત્યાર સુધીનું રહસ્ય તો આ નિયમેામાં જ છે.

પહેલો નિયમ એ કે સતીને બને તેટલી સતીધર્મમાં જ રાખવી. મેં મારા ફોટોગ્રાફની પુજા ઉપરાંત તેને મારા નામનાં પુરશ્ચરણો કરતાં શીખવ્યાં છે, અને તે જાણે છે કે તેથી જ વધારે સારા પગારથી અમારી બદલી અહીં થઈ છે. પગાર વધે છે અને પેનશન ન મળતાં નોકરીનાં વરસ વધે છે, અને વૃદ્ધ છતાં હું જીવું છું.

બીજો નિયમ એ કે મારે બને તેટલું ઘરમાં ઓછું રહેવું. આ બન્ને નિયમોની વ્યવસ્થા ખરાખર થઈ ગઈ છે. સતીના સતીત્વથી મને ઘણી સારી નોકરી મળી છે, મને સાહેબ ઘણું

૫૬