પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




જગજીવનનું ધ્યેય

સ્ટેશને ગાડી ઝાઝી ઊભી રહેવાની નહોતી, તેથી ‘મહાત્મા ગાંધીજીકી જે’ બોલનારાં ટોળામાં વનરાવનદાસ બને તેટલા બળથી મારગ કરતા આવતા હતા. તેમને જોઈને મહાદેવભાઈએ ટોળાને જગા કરવા કહેતાં ટોળું જરા ઢીલું પડ્યું અને વનરાવનદાસ આગળ આવ્યા. તેમણે મહાત્માજીને ચરણસ્પર્શ કર્યો. મહાત્માજીએ માથે હાથ મૂકતાં પૂછ્યું : “તમારી સસ્તી કયાં છે ?” વનરાવનદાસ વિધુર થઈ, સંસારથી વિરક્ત થઈ, અઢી વરસની એકની એક દીકરી સરસ્વતીને લઈને મહાત્માજીના આશ્રમમાં જોડાયા ત્યારે સરસ્વતી પોતાનું નામ લગભગ ‘સસ્તી’ જેવું બોલતી. સસ્તી નામ સંભળાતાં તે ટોળામાંથી બોલી ઊઠી: “પણ મને આ બધા આવવા દે ત્યારે ને !” ટોળાએ જગા કરી અને સરસ્વતીએ આવી ડબામાં જઈ ‘બાપુજી’ કહેતાં ચરણસ્પર્શ કર્યો. “ઓહો, મોટી થઈ ગઈ ! કેમ આટલી બધી નબળી દેખાય છે? કે સસ્તી છો એટલે કોઈ ખાવા નથી આપતું ?” કહેતાં મહાત્માજીએ તેમના પ્રેમના ચિહ્નરૂપ મોટા અવાજવાળો ધબ્બો સરસ્વતીના બરડા પર માર્યો.

.