પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
દ્વિરેફની વાતો


કશું ગંભીર નથી એવી આશામાં બીજો એક માસ વીત્યો પણ કશો નિર્ણય કરવાની કોઈની હિંમત ચાલી નહિ, માજીની અનુભવી આંખ વધારે આપદા પારખતી હતી. પણ તેઓ પણ સરસ્વતીની સ્થિતિની કબૂલાત વગર આગળ કશું પૂછી શક્યાં નહિ.

આમે ય આ અનિશ્ચિત સ્થિતિ ઝાઝી વખત ચાલી તો ન જ શકત, પણ એવામાં એક ગંભીર બનાવ બન્યો. સ્થાનિક પેપર ‘સત્યશોધકે’ ‘મહાત્માજીના અનુયાયીઓનો સડો’ એ ઉપર અગ્રલેખ લખ્યો. મહાત્માએ બ્રહ્મચર્ય સંબંધી કોઈના કંઈ પ્રશ્નના જવાબમાં કંઈક લખ્યું હતું, તેના પર ટીકારૂપે ‘સત્યશોધકે’ લખ્યું હતું કે “મહાત્માજીના બધા અનુયાયીઓ લંપટ, વિષયી, અસંયમી, દંભી, તૃણોપુચ્છન્નકૂપ જેવા સ્ત્રીઓને ફસાવનારા હોય છે. મિત્રની દીકરીઓને હવાફેરને બહાને બોલાવીને તેની સાથે છૂપો વ્યભિચાર કરે છે.” વાત તો એટલી જ હતી કે તેના સંચાલકને આ જિનની જાહેરખબર જોઈતી હતી, તે માગવા આવતાં તેણે ‘દાક્તરે પુછાવ્યું છે કે બહેનની તબિયત કેમ છે’ એવો ધમકીનો ઇસારો કર્યો હતો, પણ જીનના કામમાં જગુ તે બરાબર સમજ્યો નહિ, ને તેણે જાહેરખબર આપી નહિ તેમાંથી આવો લેખ આવ્યો. આખા ગામમાં હોહા થઈ રહી ! માજીએ સરસ્વતોને પૂછ્યું, તે કાંઈ માની નહિ; જગુને ધમકાવીને પૂછ્યું તે પણ સામો ચિડાયો.

સ્થિત એથી પણ વધારે ગંભીર બની. લેખની નકલ લાલ પેનસીલની મોટી નિશાની કરી મહાત્માજી ઉપર પણ મોકલી હતી. મહાત્માજીએ તરત જગુને અને સરસ્વતીને પોતાની પાસે એકદમ આવવા કાગળ લખ્યો.

જગુએ પોતાના દીવાનખાનામાં સરસ્વતીને બોલાવી. મહાત્માજી બોલાવે છે તે સમાચાર આપી કહ્યું : “તમે જાણો છો કે હું તો