પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
દ્વિરેફની વાતો


“ત્યારે તમને મનમાં વિકાર ન જ થતો એમ કહેવા તૈયાર છો? મનમાં થનગનાટી ન થતી ?”

“થતી, તેની ના હું કહી શકતો નથી. પણ...”

મનમાં એકલા બોલતા હોય તેમ મહાત્માજીએ કહ્યું : “મારી જ ભૂલ છે. મારા હાથ અનેકવાર દાઝ્યા છે છતાં હું જ ભૂલ કરું છું મારે જ આનું પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ.” સામે જોઈને : “ત્યારે તમે પરણી કેમ જતા નથી. તમારા જેવાએ—”

“પણ બાપુ, મને નિર્બળતા આવતી જણાતી કે તરત જ હું કોઈ ત્રીજી વ્યક્તિને પાસે બોલાવી લેતો. માજીને હું હંમેશાં સાથે રાખતો, માજી ન હોય ત્યારે મારા કોઈ નોકર ચાકરને પણ કંઈ ને કંઈ બહાને બોલાવી ઓરડામાં હાજર રાખતો. તે માટે હું પોતે જવાબદાર નથી જ. સરસ્વતી બહેનને પૂછો.”

“ત્યારે કોણ જવાબદાર છે ?”

“એક રતિભાઈ ઝવેરી બાલાસોરમાં જ રહે છે, તે. તેઓ વનરાવનભાઈના મિત્ર થાય છે”

“પરણ્યા નથી ? તમારે ત્યાં આવતા જતા ?”

“જી ના. સરસ્વતી ત્યાં રહેલી છે. અને એ જ તમને એ કહેશે.”

“તમે તેને ત્યાં જવા કેમ દીધી?”

“એમનાં પત્નીને કસુવાવડ થઈ ગઈ તેને લીધે રતિભાઈ ઘરમાં ઝાઝું રહી શકતા નહોતા. ઘરમાં નાના હેમુને રાખવા સરસ્વતી દસેક દિવસ ત્યાં રહી.”

“ત્યારે તમે નિર્દોષ છો, એમ જણાય છે. જો કે સરસ્વતીને પણુ હું પૂછીશ ખરો. હવે ખરું તો તમારે એ વિચારવાનું કે મારી શી ફરજ છે.”