“પણ તે કેમ થાય? મહાત્માને લખેલું છે ને ?”
“તે રહેવાનું તો બીજી કઈ રીતે થાય? આપણે બન્ને અહીં જ કુટુંબ કરીએ ત્યારે જ તો ? મહાત્માજી તમારી પરણવાની બાબત શો વિચાર કરે ?”
“અરે, એમણે તો મને એક્વાર સ્પષ્ટ કહેલું કે પરણવાનું મન થાય તો મને કહેજે.”
“મને પણ આપણે બે ગયાં ત્યારે કહેલું કે તમે પરણો તો !”
“ખરેખર !”
“હા. હા. તો તો મહાત્માજીના આશ્રમમાં જ તેમના આશીર્વાદથી લગ્ન કરી શકાય, નહિ ?”
“હાસ્તો.”
“ત્યારે આપણે બન્ને જઈએ અને તમે તેમને વાત કરો.”
“મને શરમ લાગે.”
“તો હું વાત કરું ને તમે પછી તેમના આશીર્વાદ માગજો.”
“ભલે.” સરસ્વતીને પણ ભવિષ્યના જીવનની અનેક ચિંતા હતી, તેનો આ બહુ જ સરલ નિકાલ આવી ગયો તેથી તેના મનને ઘણો જ વિશ્રામ મળ્યો.
બન્ને મહાત્માજી પાસે ગયાં. મહાત્માજીએ બહુ ઉલ્લાસમાં તો નહિ પણ સાધારણ રીતે કહ્યું, “તબિયત તો સારી છે.” થોડી વારે જગજીવને એકાન્ત માગ્યું. મહાત્માજીએ બધાને બહાર જવા કહી પૂછ્યું, “કેમ, શું છે?”
“અમે બન્ને આપના આશીર્વાદ માગવા આવ્યાં છીએ ?”
મહાત્માજી તરત તો સમજ્યા નહિ, પણ જગજીવન સામે જોઈ એકદમ સમજી ગયા. તેમની આંખમાં તરત ચમકારો થયો,