પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ઉત્તર માર્ગનો લોપ


“વિધિમાં લખેલ છેઃ ચાચરની બહાર અગ્નિ ખૂણા પર વર્તુલાકાર પાંદડાંવાળું તૃણ છે તે ચવડાવીને સાધક કે સાધિકાનો દેહાન્ત કરાવવો. ધર્મશાળામાં તેં જોવા મોકલ્યો ત્યારે હું એ તૃણ જોઈને પણ આવ્યો.”

“બસ, એટલું વિધાન મારે માટે પણ પૂરતું છે.” તેણે હરકાન્ત ઉપર નરમાશથી કેટલીએ વાર હાથ ફેરવ્યા કર્યો !

થોડી વારે ચન્દ્રલેખાએ કહ્યું : “આપણે આપણા માર્ગનાં સાધન પણ તૈયાર છે, તો શા માટે એમની વિધિ અને સભાની રાહ જોવી ? રાતના છેલ્લા પહોરે આપણી મેળે જ તે પાંદડાં ચાવીને જીવન પૂરું કરવું. આપણી જીભે સદોષ કે નિર્દોષ કશું કહેવું નહિ ! ભલે એ લોકો એમને પછી જે કરવું હોય તે કરે. જાઓ, પાંદડાં લઈ આવો! ના હમણાં નહિ. આ દશમીનો ચંન્દ્ર આથમશે ત્યારે છેલ્લો પ્રહર જ રહેશે. પહેલેથી લાવી રાખીએ તો કદાચ તેનો ગુણ ઓછો થઈ જાય.”

થોડીવાર શાન્ત રહી વળી તેણે કહ્યું: “કાન્ત ! કેટલું સુખ ! જીવનની સૌથી મહત્ત્વની ઘડીએ બન્ને સાથે ! કેટલું વિચિત્ર ! બધાને મૃત્યુનો એક જ પ્રસંગ આવે. આપણને બે આવ્યા. બન્નેમાં સાથે !”

ફરી થોડી વાર શાન્તિ પ્રસરી રહી. લેખાએ કહ્યું : “હરકાન્ત ! કેમ બોલતા નથી ?" હરકાન્તે લેખાને માથે, બરડે, પંપાળી. ઝાઝી વાર રહીને હરકાન્તે પૂછ્યું; “લેખા ! વહાણમાં જેમ મને ઊર્મિ ઊછળી આવી, તેમ તને પણ થયેલું કે માત્ર...” લેખાએ વાક્ય પૂરું કરવા ન દેતાં હરકાન્તના મોંએ ચુંબન કર્યું. હરકાન્તે ફરી કહ્યું: “પણ કહે તો....” ફરી લેખાએ ચુંબન કર્યું.

“આ તે કાંઈ રીત છે ?”

“તમે વહાણમાં ખૂબ વારો વદાડી લીધો છે. હવે મારો વારો. હજી તો હિસાબે ઘણાં માગું ! પણ હવે થોડાં આવતા ભવ માટે રાખીશ.”