પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
દ્વિરેફની વાતો.


ધનુભાઈ : મને લાગે છે આ બધી ભવિષ્યની પેરવી થાય છે. વાર્તા કહી રહ્યા પછી કદાચ એમ કહેશે કે મારી વાર્તા સમજવા માટે બાળક થતાં આવડવું જોઈએ.

મેં કહ્યું : સારા કવિ પોતાના વાચકને અધિકારી બનાવી લે છે. જેમ અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા હતા, તેમ તમારે વાર્તાના બળથી જ અમને બાળક બનાવવા જોઈએ. એમ ન કરી શકો તો તમારી વાર્તાની એ ઊણપ.

ધીરુબહેન : મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યાપારોમાં એકપક્ષી બળ કદી કામ કરી શકે નહિ. એક બાજુ જેમ કલામાં અધિકારી બનાવવાનું બળ જોઈએ તેમ જ બીજી બાજુ ભાવકમાં અધિકારી બનવાની તૈયારી જોઈએ, ઋજુતા જોઇએ. વિવેચન કરવાનું અભિમાન એ ભાવકને પક્ષે મોટામાં મોટી નાલાયકી, મને તો ખાત્રી છે કે ઘણા લખતા બોલતા વિવેચકો કરતાં નહિં બોલતા ભાવકો કલાના વધારે સારા અધિકારી હશે—જેમ ઘણા નીતિના અભિમાનીઓ કરતાં નીતિવિષયની નમ્રતાવાળા હોય છે તેમ.

ધીરુભાઈ : મને એકલાને જ ભાષણ કરવાની ટેવ છે એમ હવે તો કોઈ નહિ કહે એમ માનું છું. કેમ પ્રમીલા?

પ્રમીલા : મને લાગે છે કે તમારો ચેપ ચારે કોર ફેલાતો જાય છે. તેમાં માત્ર હું અને ધમલો જ અપવાદ રહ્યાં છીએ. અને સારું છે કે હું સાજી સારી અહીંથી નાસી જવાની છું.

ધીરુ બહેન : ચાલો ત્યારે, તમને આવી ચર્ચા નથી ગમતી તો બધી બંધ કરું છું. અને મારી વાર્તા વાંચવી શરૂ કરું છું. જુઓ, મારી વાર્તા માટે એક જ વાત મારે પ્રસ્તાવનારૂપે કહેવાની છે. ના ના, એ પણ નથી કહેવી. વળી ક્યાંક તેમાંથી ચર્ચા થાય. હવે વાર્તા વાંચવી શરૂ કરું છું. અને કહું છું વાર્તા વાંચું તે દરમિયાન કોઈ એ કશો પ્રશ્ન કે ચર્ચા કરવી નહિ.