માણસોને નોકર નથી રાખતા કહી સેનાપતિએ તેને અસ્વારની નોકરી ન આપી.
તે દિવસે કેખુશરૂ બાદશાહે બે મનાઈના હુકમો રદ કર્યાં: એક તો સભામાં નહિ હસવાની મનાઈ રદ કરી, અને બીજી કાણાને નોકરીમાં નહિ રાખવાની મનાઈ રદ કરી, અને બન્ને કાણાને રાજમાં સારી નોકરી આપવા હુકમ કર્યો. બન્ને કાણાએ બાદશાહને સલામ કરી, અને બહાર નીકળવા જતાં આખી સભા તરફ જોયું. ત્યારે બાદશાહ અને સભા ફરી ખડખડાટ હસી પડ્યાં !
ધીરુ બહેન : હવે તમે બધા મારી વાર્તા ઉપર ટીકા કરો.
મેં કહ્યું: સાંભળો. આને તમે બાળવાર્તા ગણો છો ?
હા.
આ આખી વાર્તામાં બાળક તો છે જ નહિ.
બાળવાર્તામાં બાળક હોવાં જ જોઈએ એવું નથી. હોય પણ ખરાં, અને ન પણ હોય. એથી ઊલટું બાળક વિશે જે કંઈ લખ્યું હોય તે બાલસાહિત્ય નથી બનતું. ઇન્દુકુમારમાં બાળકની લાંબી પ્રશસ્તિ છે, “બાળક ચેતનના ફુવારા છે, કે બાળક ભવિષ્યની થાપણ છે” એ સર્વ બાલસાહિત્ય નથી.
ત્યારે બાલવાર્તા કોને કહેવી ?
જે વાર્તાનો ભોક્તા કે ભાવક બાળક બની શકે તેને.
ધનુભાઈ : ઈન્કિલાબ ઝિન્દાબાદ ! અત્યાર સુધી બધા કાવ્યશાસ્ત્રકારોએ કાવ્યનો ભોક્તા સહૃદય કહ્યો છે, અને સાચો સહૃદય વિરલ હોય છે, ત્યારે આ બાળકને સહૃદય કહે છે. બાળકનો સંસ્કૃતમાં અર્થ છે અજ્ઞાન. અને બાળક સહૃદય ! ઇનકિલાબ ઝિન્દાબાદ !
મેં કહ્યું : ધનુભાઈ, તમે કહેતા હતા તે જ નીકળ્યું. આપણે કોઈ આ વાર્તાના યોગ્ય ભાવક નહિ, અને ચીનુ ખરો, કેમ?