લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
દ્વિરેફની વાતો.


ધીરુ બહેન : મેં એમ કહ્યું નથી, બાળક થઈ શકે એટલે બીજાઓ ન થઈ શકે એમ મેં કહ્યું નથી. પછી તમારે ન થવું હોય તો તમે ન થાઓ.

મેં કહ્યું : ત્યારે બાળક થાય એમ કહેવાનો અર્થ શો છે?

અર્થ એ છે કે બાળકનું મન અમુક રીતે અવિકસિત છે. બાળસાહિત્ય એવું હોવું જોઈએ કે એ અવિકસિત મનને એમાં રસ પડે. એના વિભાવો પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જે બાળક સમજી શકે, અને જે બાળકના મનમાં રસ નિષ્પન્ન કરે, અથવા જેમને લાગણી શબ્દ વિના વિવેચન કે કાવ્ય બનતું જ નથી એમ લાગતું હોય, તેમની ભાષામાં કહીએ તો, એના વિભાવો એવા હોવા જોઈએ, કે જેથી બાળકના મનને લાગણી થાય.

મેં કહ્યું : બસ ત્યારે, તમે એમ કહીને વિકસિત મનવાળાને તેમાંથી બાદ જ કર્યાં ને?

ધીરુ બહેન : ના, નહિ જ. વિકસિત મનવાળા, અવિકસિત મનના વ્યાપારો ન જ સમજે એમ નથી. બીજાં કાવ્યોનો સહૃદય બાલવાર્તાનો પણ સહૃદય છે. આપણે કોઈ સુંદર ખાવાની ચીજ માટે રડતાં નથી, પણ બાળક રડે છે તે સમજી શકીએ છીએ તેમ. પણ બાળવાર્તાનું મુખ્ય લક્ષણ એ કે બાળક, કહો કે સહૃદય બાળક તેને સમજીને તેનો રસ લઈ શકે.

ધનભાઈ : ત્યારે બાળકને આ વાર્તામાં રસ પડે એવી આ આ વાર્તા છે?

રસ પડે એવી એમ નહિ. રસ પડ્યો જ છે !

મેં કહ્યું : એટલે શું તમારી વાર્તામાં જ્યાં જ્યાં દરબારી કે રાજા હસે છે ત્યાં ચીનુ હસતો હતો?