પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ


ધીરુબહેન : તમે તે કેવા પ્રશ્નો પૂછો છો ? વાર્તામાં પાત્ર હસે ત્યાં દરેક જગાએ હાસ્ય જ હોય ? નહિ જ. પાત્ર હસે ને હોય કરુણરસ, અથવા જુગુપ્સા પણ હોય. પાત્ર તદ્દન લાગણી વિનાનું હોય, ને હોય માર્મિક કરુણ !

ધનુભાઈ : એ સિદ્ધાન્ત તો સાચો. પણ અહીં જો ચીનુ હસતો નહોતો તો તમે કેમ માન્યું કે એને રસ પડે છે?

એણે એ વાર્તા બે વાર કહેવરાવી, અને એકવાર તો તેના મિત્રને આ વાર્તા સાંભળવા લઈ આવ્યો. અને હસતો નહોતો, પણ બધું બહુ કૌતુકથી સાંભળતો હતો.

મેં કહ્યું : પણ મારે એ વાંધો છે કે આ વાર્તામાં રાજા કે દરબારી જ્યાં જ્યાં હસે છે ત્યાં ત્યાં હાસ્યનો પ્રસંગ છે જ નહિ.

આપણે ન હસીએ એ ખરું. પણ આ તો ઈરાનના કેખુશરૂ બાાદશાહ છે. અરેબિયન નાઈટ્સમાં રાજા, રાણીઓને મારી નાંખે છે ત્યાં ખરેખર મારી નાંખવા જેવો પ્રસંગ છે? નથી. પણ એ બાદશાહ છે, તેમ આ પણ બાદશાહ છે. તેણે તો હસવાની મનાઈ કરી છે. અને કાણા વિશે એટલા ચોક્કસ વિચારો કર્યાં છે કે કાણાને નોકરીમાં નથી રાખતો, અને કાણાની ફરિયાદ સાંભળવા તૈયાર નથી ! એવા વિલક્ષણ રાજાને છેવટ એમ જ થાય, અને બાળકો એ વિલક્ષણતા સમજી શકે છે. વળી કાણાપણા જેવી ખોડથી બાળકો હસે છે. બાળકો જ શા માટે ? આપણે પણ કોઈ વાર એ બાળકપણામાં અજાણતાં લપસી જઈએ છીએ. તે દિવસ કદરૂપી ત્રાંસી આંખવાળી છોકરીનું નામ જલજાક્ષી તમે સાંભળ્યું ત્યારે તમે પણ હસી પડેલા. તેમ આ વાર્તામાં બે કાણા અને બન્ને એક બીજાને છેતરવા પ્રયત્ન કરે, તેમાં એક ફાવી જાય અને બીજાને અણધાર્યું નુકસાન થાય, પણ છેવટ બન્નેને અને બધાને ફાયદો થાય એ હસવાનો નહિ પણ ખુશ થવાનો પ્રસંગ તો છે જ.