પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
દ્વિરેફની વાતો.


“આવાં મિથ્યા સ્વપ્નાં શા માટે સેવે છે? મારા કે તારા ભાગ્યમાં પ્રજા જ નથી.”

“એવું ન બોલશો.” પછી ખોળામાં રહ્યાં રહ્યાં જ જરા ઊંચા થઈ કાનમાં કહ્યું. “જો આ અનુષ્ઠાન ન કર્યું હોત તો આજ પછીથી મેં તમને અનુષ્ઠાન કરવાનું અમુક વખત તો ન જ કહ્યું હોત.” થોડો વખત સામું જોઈ રહીને, “આ દસ દિવસમાં મને ખબર પડી.”

કેશવરામ આ સ્ત્રીનો અગાધ પ્રેમ, સ્વાર્પણ, પ્રસન્નતા, સર્વ જોઈ ચકિત થઈ ગયો. પોતે સ્ત્રીને રાજી કરવા અનુષ્ઠાન તો ન કર્યું, પણ સ્વાભાવિક રીતે તેની જે આશા ફળવાનો સંભવ હતો તે પણ તેણે આ અનુષ્ઠાન કરીને છેદી નાંખ્યો ! અને છતાં એ તો એટલા જ પ્રેમથી જીવે છે, અને પોતે મરશે તેમાં પણ હર્ષ પામે છે! તેને ચૂપ જોઈ ગિરજા ફરી બોલી: “કેમ બોલતા નથી ? તમારું ભાખેલું ભવિષ્ય ખોટું પડે તેમાં આટલા મૂંગા થઈ ગયા ! મને વચન આપો કે પરણશો.”

કેશવરામે કહ્યું : “જો તું કહે છે ત્યારે કહું છું. તું મરીશ એ નક્કી છે, અને તે પછી હું સન્યાસ લઈશ એ પણ નક્કી છે. હું તો એમ માનતો હતો કે હું મરીશ, પણ દૈવને મારું ખરાબ કરવું હોય તો તો ખરે જ તને મારીને જ કરે. પણ આમ થાય કે તેમ થાય, હું રાઘવ ભટ્ટને કહેતો આવ્યો છું, કે મારો ને એનો બન્નેનો ગરાસ તમને મળશે. એ સાચું જ પડશે.”

“મારા ભલા બ્રાહ્મણ ! તું આટલો ભલો ભોળો છે, ને તારામાં કોણ જાણે ક્યાંથી આટલો કાળ ભર્યો છે.”

“ખરેખર, ભાગવતમાં ક્રોધને ચાંડાલ કહ્યો છે, તે ખરું છે !”

“ત્યારે ખરેખર આનો કાંઈ ઉપાય નથી ? એને કોઈ રીતે બચાવી ન શકો?”

“હું પોતે મરીને પણ નહિ જ.” — ખોળામાં સૂતી સૂતી