પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
દ્વિરેફની વાતો.


દાણાવાળાએ, અદ્ધર તમારે ત્યાં ધકેલ્યાં.” પેલો માણસ કહેઃ “પણ આવે વખતે તો કામ કરવું જોઈએ, શેઠ રાજી કરશે. હમણાં જાઓ.”

કાનિયો કંકુ મજૂરી લેવાનું પણ બાકી રાખી, દાણાવાળાને ત્યાંથી દાણા લઈ ઘેર ગયાં. પોતાના દાણાના કોથળા ઘેર ઉતારી, ઢાંકેલા કોથળા એક કોર કરી જુએ છે તો અંદર નવતર પોટકી દીઠી. ગાંઠ ઉઘાડી જુએ છે તો સોના મોતી જવાહીરનાં ઘરેણાં ! દાણાનું માટલું ઉઘાડતાં અંદરથી ફૂંફાડા મારતો ફેણ ચડાવી ડોકું કાઢતો સાપ કોઈ જુએ તો હેબકાઈ જાય, તેમ કંકુ કાનિયો હેબકાઈ ગયાં. વરસાદ રહ્યે નરોતમ શેઠને પૂછવા જવું, તે દરમિયાન પોટકી ઝૂંપડીમાં જ દાટી રાખવી ને કોઇને કહેવું નહિ, એમ બન્નેએ નિશ્ચય કર્યો.

આ પોટકી પાડોશી કેશવલાલ શેઠની હતી. તેમણે સામાન ઉતરાવી પોટકી શોધી તો જડી નહિ ! પોટકીમાં વીસ હજારના દાગીના હતા. તેમણે અને તેમના ઘરમાં બધાં માણસોએ એમ જ માન્યું કે નરોતમ શેઠ કે એનાં માણસો પોટકી લઈ ગયાં. કેશવલાલે તરત જ પોલીસમાં ફરિયાદ કરી જડતી લેવરાવવા વારન્ટ મેળવ્યું. અને આ જડતી વરસતા વરસાદમાં, જે મિત્રે નરોતમ શેઠનાં પત્નીની ઓપટી વેળા તેમને ઘરમાં રાખવાનું બન્ધુકૃત્ય કર્યું, તેને જ ત્યાં લેવાઈ, અને શેઠનાં બીજાં માણસો જે સામાન વહેતાં હતાં તેમને પણ તેનો લાભ મળ્યો. કેશવલાલનાં ઘરેણાં ગયાં તેનો તેમને વિચાર ન આવ્યો, પણ પરસ્પર વૈર ખેલવાની બાજીમાં સામા પક્ષના પોબાર પડતા તેમને લાગ્યા. તેઓ અપમાનથી ખૂબ ધૂંધવાઈ રહ્યા !

અલબત જડતીમાં તો કશું હાથ લાગ્યું નહિ, પણ કેશવલાલનો અને પોલીસનો નરોતમ શેઠ ઉપરનો વહેમ ઓછો થયો નહિ. તેની હિલચાલ ઉપર પોલીસે દેખરેખ રાખી. બી તરફ પેાલીસે કેશવલાલ પાસે દાગીના શોધી આપનારને રૂા. ૭૦૧નું ઈનામ જાહેર કરાવ્યું.