પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
દ્વિરેફની વાતો.


આશુતોષ ઊભા થઈ ગયા અને બોલ્યાઃ “સાંભળો, સાંભળો ! ચર્ચા જવા દો. એમની વાત જ કઢાવો.”

હું બેઠો થઈ ગયો ને મેં કહ્યું : “ભાઈ, અમે તો તમને સારા માણસ ધારતા હતા. ત્રિવેણી બહેનને કહી દેવા દેજો, તમારાં પરાક્રમો !”

વ્યંકટેશ પણ ચર્ચાને પાટેથી લપસી પડ્યા ને બોલ્યાઃ “હવે રામાંટામાં માર્યે નહિ ચાલે, વાત પૂરી કહેવી પડશે.”

કવિ કહે છે કે લોકો ઉત્સવપ્રિય છે. તેથી પણ વધારે, લોકો વાતરસિયા છે.

પ્રજ્ઞેશે જરા ડોકી ઊંચી કરી, ખભા હલાવી, જાણે સ્મૃતિ તાજી કરી, કહ્યું : “તમે ત્રિવેણીનું નામ લીધું ત્યારે ત્યાંથી જ વાત કહું છું.”

“હું ઈન્ટર આર્ટ્સમાં ભણતો હતો ત્યારે અમારાં લગ્ન થયેલાં. તમે જાણો છો, ત્રિવેણી બુદ્ધિશાળી છે. હું ધારત તો એનો ગર્વ કરી શકત એવો એનો દેખાવ હતો, અત્યારે પણ એવો છે. એ મને ચાહવા પણ લાગી હતી, પણ માબાપે પરણાવ્યાં માટે ચાહવા માંડવું એમાં મને હીણપત લાગી, અને મેં પ્રથમ મિલનથી જ એના તરફ અણગમો સેવવા માંડ્યો. પરણીને થોડા દિવસે મુંબઈ આવી, બી. એ. ના ક્લાસો ભરવા માંડ્યો ત્યારે, જાતે પસંદગી કરી પરણ્યો નહિ તેની, મનમાં ને મનમાં, મને વધારે નામોશી લાગવા માંડી. હું દુ:ખી થવા લાગ્યો. અમારા વખતમાં એવું મનાતું, કે મનમાં દુઃખ રહ્યા જ કરે એ એક સંસ્કારિતાની, ઊંચા ધ્યેયની અને સૂક્ષ્મ લાગણીની નિશાની છે.

“હું સીનિયર બી. એ.માં આવ્યો ત્યારે મારે જૂનિયર બી. એ.ની એક બાઈની એાળખાણ થઈ. ઓળખાણ તો બહુ સાદી રીતે થઈ. એ બાઈ—”