પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
દ્વિરેફની વાતો.


“સાધારણ રીતે તો, એ કહેતી કે હું તને બહુ દુઃખી કરું છું; હું કહેતો કે હું દુઃખી કરું છું. અમે બન્ને એક બીજાને તું કહીએ એટલે દૂર પ્રેમમાં ગયાં હતાં. વચમાં વચમાં અમે દરેક કહેતાં, ‘હું તારે માટે આપઘાત કરીને મરી જાઉં, પછી તું સુખી થજે, મને ભૂલી જજે.’ અને દરેક સામેથી ઉત્તર આપતું, ‘હું નહિ ભૂલી શકું માટે મને મરવા દે.’ અને પછી અમે બન્ને રડતાં. એક વાર તો દરેકના એકલા આપઘાત ઉપરથી અમને ભેગાં આપઘાત કરવાનો વિચાર આવ્યો. કેવી રીતે આપઘાત કરવા એના અમે તર્કો કરતાં. દરિયામાંથી આપણી એકબીજાને ભેટેલી લાશો મળે તો આ નિષ્ઠુર જગતને કાંઈક લાજ વળે, એવો વિચાર પણ આવ્યો. દરિયા કિનારાની કઈ જગા અમારા આપઘાતને લાયક છે. તે જોવા અમે બન્ને એકવાર દરિયાકિનારે ફર્યાં, પણ કોઈ જગા અમને લાયક જણાઈ નહિ ! કેટલીક અતિસાધારણ લાગી—કોઈપણ સાધારણ માણસને આપઘાત કરવાનું સૂઝે એવી ! કેટલીક અવરજવર વાળી જણાઈ. કોઈક એટલી દૂર જણાઈ કે અમારાં મુડદાં ઘણાં મોડાં ગંધાઈ ગયા પછી હાથ આવે ને તેને કોઈ ઓળખે નહિ, તો પછી દુનિયાને અમારા આપઘાતની શિક્ષા શી રીતે લાગે, એમ વિચાર આવ્યો. અને પછી તો આ ફરવા જવાનો વખત ન મળ્યો, ને જગાની પસંદગી રહી ગઈ. પણ તેથી કાંઈ અમારી આપઘાત કરવાની વાતો રહી ગઈ નહિ ! કારણકે અમારો પ્રેમ અથાગ હતો તેમ જ અથાક હતો ! એમ આપઘાતથી અમે થાકી જઈએ એમ નહોતાં.

“હું માનું છું, મારી પત્ની મુંબઈ મારી સાથે રહેવા આવી તે પછી પણ અમે આપઘાતની વાતો કરતાં. કારણકે મને યાદ આવે છે કે અમને મરેલાં સાંભળીને એને શું લાગશે એ વિચાર આવતાં અમે બન્ને એકવાર હસેલાં !”

આશુતોષ : “તે તમારાં પત્ની આવ્યા પછી એ ઉર્વશી તમારે ઘેર મળવા આવતી ?”