પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
સૌભાગ્યવતી ! !


જ્વાલામુખીમાંથી જ્વાલા નીકળે એમ એનો અંત:સ્તાપ ભભૂકી નીકળતો હતો. મેં એને બાથમાં લીધી, આશ્વાસન આપ્યું. તે એકદમ અનર્ગળ આંસુએ રડી પડી. મેં તેને પાણી પાયું. તેને ઉઠાડી મોં ધોવડાવ્યું. તેને થોડી બળી ખાવાનું કહ્યું, પણ મને કહેઃ “આજે હવે નહિ ખાઈ શકું. મને આવું થાય છે ત્યારે ગળે ડચૂરો બાઝે છે.” પછી મેં કૉફી પાઈ, ઘણી વાર બેસારી તેને ઘેર મેાકલી.

થોડી વારે ડૉક્ટર આવ્યા. ટેબલ પર રકાબીઓમાં પીરસેલી બળી જોઈ કહેઃ ‘કેમ, મારા આવ્યા પહેલાં બધું પીરસી રાખેલું છે ?” મેં કહ્યું, “આ બળી ઉપર એવો શાપ છે કે એ ખાવાની વાત કરીએ ને ખવાય નહિ. મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે અઢી કલાકથી એમ ને એમ પીરસેલી પડી છે. એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યાં.”

ડોક્ટરે કહ્યું : “એવી શી વાત હતી વળી ?”

મેં કહ્યું : “એક વાર ખાઈ લો પછી કહીશ.”

“અરે, પણ અમે તો મડદું ચીરીને પણ તરત ખાવા બેસીએ. ઑપરેશનમાં જીવતા માણસને કાપીને પણ તરત પછી ખાવા બેસીએ.”

મેં કહ્યું : “ના, તોય ખાઈ લો. પછી કહીશ.”

ડૉક્ટર કહેઃ “ના, ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ. નહિતર નહિ ખાઉં.”

ડોક્ટર માન્યા નહિ, મેં જીવીની ને મલ્લિકાની બન્નેની આખી વાત કહી સંભળાવી. વાત પૂરી થયે મેં કહ્યું : “એ પેલો દૂહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું.”

ડૉક્ટરે કહ્યું : “ખરાબ માણસ બૈરીને અને કવિતાને બન્નેને બગાડે છે.”

પછી એક ખાવા ખાતર બળી ખાધી, પણ એ વિચારમાં પડી ગયા. મને કહે: “હું વિનોદરાયને વાત તો કરીશ જ.” મે કહ્યું :