પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચીતા૨ આ૫વામાં રોકાઈને મેં રાજ્યની બીજી સેવા નથી કરી. મારૂં પોતાનું બધું છોડ્યું છે ને હું પોતે અત્યંત ગરીબ રહ્યો છું. પણ મને લાગ્યું કે જો હું માણસને તેના અજાણપણાનું ભાન કરાવું તો તેમાં હું ( પ્રભુની ) ખુદાની સેવા કરૂ છું. અને તે સેવા મેં પંસદ કરી છે તેથી મારી ઉપર લોકોની ઈતરાજી વધી છે.

વળી કેટલાક જુવાનીઆઓ જેઓને બહુ કામ નથી તેએા મારી પાછળ ફરે છે ને હું સવાલો કરૂં છું તેમ તેઓ પણ અર્ધજ્ઞાનીઓાને સવાલ કરે છે. આમ થવાથી જેને સવાલ ક૨વામાં આવે છે ને જેએાનું પોકળ ખુલ્લું થાય છે તેવા માણસ મારી ઉપર ગુસ્સે થાય છે. મારી ઉપર તેઓ બીજુ કાંઈ તહોમત નથી મૂકી શકતા, તેથી તેઓ કહે છે કે “આ માણસ જોઈએ તે કરતાં ઉંડો ઉતરે છે, અાપાણા દેવને માનતો નથી, તે ખરાબને સારૂ કહી બતાવે છે.” આવા માણસો પોતાનું અજ્ઞાન ઢાંકવાની ખાતર બધાના કાન મારી વિરૂદ્ધ ખોટી રીતે ભંભેરે છે. તેવાઓમાં મેલીટસ અને બીજા માણસો છે. મેલીટસ એમ કહે છે કે હું એથેન્સના જુવાનીઆઓને બગાડું છું. હવે મેલીટસને જ હું સવાલ પૂછું છું.

સોકરેટીસ પૂછે છેઃ-મેલીટસ, તમને નથી લાગતું કે જુવાનીઆએાને બને તેટલી રીતે સદ્દગુણી કરવા ?

મેલીટસ કહે છે-મને તેમ લાગે છે.

સોઃ-ત્યારે જુવાનીઆએાને સદ્દગુણી કોણ બનાવે છે ?

મેઃ–ધારાએા.

સોઃ-મારા સવાલનો જવાબ નથી મળ્યો. મેં પૂછ્યું કે કોણ તેઓને સારા કરે છે ?