પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१२

દર્દીને સાજો કરવાને કરેલો સ્પર્શ એ બધું બ્રિટિશ સરકારને પડકાર આપવાને ઘડેલા ઠરાવના જેટલું જ મહત્ત્વનું હતું.

પોતાના જ્ઞાનના પ્રકાશથી આપણી પેઢીની સમજને અજવાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વતંત્રતા અપાવનાર જ નહીં, માણસને વધારે ઉદાત્ત કરનારા તેની પ્રકૃતિના ઊંડાણમાં રહેલા ગુણોની આપણને વધારે ઊંડી સમજ પણ આપનારા આપણા આ વહાલા આગેવાનને વિષે હવે પછીની આપણી પેઢીઓને ઓછીવત્તી ઝાંખી થતી રહે તેટલા સારુ આ કાર્ય આપણે પૂર્ણ પૂજયભાવથી ઉપાડીએ. આવો એક પુરુષ આપણી ભારતીય ભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમની અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો આશ્ચર્ય પામતા રહેશે.

આ હું દાર્જિલિંગમાં બેઠો બેઠો લખું છું. ત્યાં ભવ્ય ને સમર્થ કાંચનજંઘાનું શિખર આપણા પર નજર રાખે છે. આજે સવારે મને એવરેસ્ટનું દર્શન થયું. મને એવું લાગ્યું કે એવરેસ્ટ અને કાંચનજંઘાના નિર્વિકાર શાંત સામર્થ્ય અને શાશ્વતપણાની છટા ગાંધીજીમાં પણ આપણે અનુભવી હતી.


જવાહરલાલ નેહરુ
દાર્જિલિંગ,

ડિસેમ્બર ૨૭, ૧૯૫૭