પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
२५

એવું ઠરાવવામાં આવ્યું કે એશિયાવાસીઓ ડચ નાગરિકત્વના અધિકાર મેળવી નહીં શકે. તેનાથી એવી ફરજ પાડવામાં આવી કે "જાહેર તંદુરસ્તીને ખાતર" હિંદીઓને માટે ખાસ અલગ કાઢવામાં આવેલા લત્તાઓમાં જ તેમણે રહેવું. તેવા લત્તાઓ સિવાય બીજે તેઓ સ્થાવર મિલકત રાખી નહીં શકે, તેમનામાંના જે વેપારને સારુ રાજયમાં પ્રવેશ કરે તેમનું લવાજમ લઈ એક રજિસ્ટર રાખવામાં આવે અને ધંધો કરવાને તેમણે પરવાનો મેળવવો જોઈએ.

ઇંગ્લંડની નામદાર રાણી અને ટ્રાન્સવાલ ડચ પ્રજાસત્તાકની વચ્ચે ૧૮૮૪ની સાલમાં થયેલી સમજૂતીની ચૌદમી કલમનો જોકે આ કાનૂન છડેચોક ભંગ કરતો હતો કેમ કે તે કલમમાં જાહેર કરવામાં આવ્યું હતું કે "આફ્રિકાના અસલ વતનીઓ સિવાયનાં" બધાં માણસોને ટ્રાન્સવાલના પ્રજાસત્તાકના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરવાની, મુસાફરી કરવાની, રહેવાની, મિલકત રાખવાની અને પોતાનો વ્યવસાય ચલાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા રહેશે અને તેમના પર ડચ નાગરિકો પર નાખવામાં નહીં આવ્યા હોય એવા કોઈ કરવેરા નાખવામાં નહીં આવે. એ સંસ્થાનમાં વસતા બ્રિટિશ પ્રજાજનોનાં હિતની સંભાળ રાખવાને બ્રિટિશ હાઈ કમિશનર ત્યાં રહેતો હતો. પણ શું ડચ કે બ્રિટિશ, સંસ્થાનમાં "થઈ રહેલા એશિયાવાસીઓના આક્રમણના જોખમની" વાતો કરનારા ટ્રાન્સવાલના બધાયે ગોરાઓની ચળવળના દબાણથી તેણે લંડનની સરકારને એ કાનૂનનો વિરોધ ન કરવાની સલાહ આપી અને તેને અનુસરીને લંડનની બ્રિટિશ સરકારે આ હિંદી વિરોધી ધારાની સામે કોઈ પણ જાતનો વાંધો ન ઉઠાવવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી.

બીજા બ્રિટિશ પ્રજાજનોની સાથે હિંદીઓને સરખા હક રહેશે એવી શાહી સરકારની આગળની જાહેરાતો છતાં દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓને લગતી પોતાની નીતિ તેણે આ રીતે ફેરવી નાખી તેને પરિણામે ડચ તેમ જ બ્રિટિશ એમ બંને હકૂમત હેઠળના પ્રદેશોમાં શાહી સરકારને પોતાના પ્રજાજનોનું સંરક્ષણ કરવાની પૂરી સત્તા હતી, તે વખતે સુધ્ધાં એકલા ડચ હકૂમત નીચેના ટ્રાન્સવાલમાં જ નહીં, બ્રિટિશ હકૂમત હેઠળના નાતાલમાં પણ હિંદીઓ અને બીજાઓ વચ્ચે ભેદભાવ કરનારા કાયદાઓને માટે રસ્તો મોકળો થઈ ગયો.

આખાયે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સામે રેલવે ગાડીઓમાં, બસોમાં, નિશાળોમાં અને હોટલોમાં તેમની નીતિને કારણે ભેદભાવથી વહેવાર રાખવામાં આવતો હોઈ તેમને પરવાનો કઢાવ્યા વગર એક સંસ્થાનમાંથી બીજામાં જવા દેવામાં આવતા નહોતા. ૧૮૯૪ની સાલમાં જ્યાં હિંદીઓની વસ્તી વધારેમાં વધારે હતી તેવા નાતાલ જેવા બ્રિટિશ સંસ્થાનમાં તેમનો દરજજો ઉતારી નાખનારો અને તેમને પોતાના રાજકીય અધિકારોનો અમલ કરવામાં રોકનારો તેમનો મતાધિકાર રદ કરનારો કાયદાનો ખરડો મંજૂર થવાની અણી પર હતો.

૧૮૯૩ની સાલના મે માસમાં ગાંધીજી વકીલ તરીકે પોતાના ધંધાને લગતું એક કામ લઈને દક્ષિણ આફ્રિકા ગયા હતા, ૧૮૯૪ની સાલમાં કાયદાને લગતું પોતાનું કામકાજ પતાવી તેઓ દક્ષિણ આફ્રિકા છોડવાની તૈયારીમાં હતા તેવામાં અખબારોમાં એ કાયદાના ખરડાનો ઉલ્લેખ તેમના જોવામાં આવ્યો. એ ખરડાનો અર્થ પોતાના દેશબાંધવો કે જેમાંના મોટા ભાગના અભણ હતા તેમને માટે કેવો થશે એ બીના તરફ ગાંધીજીએ તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે તે લોકો પોતાને મદદ કરવાને ત્યાં રોકાઈ જવાને ગાંધીજીને સમજાવી શકયા. આ અને હિંદીઓની એવી બીજી ફરિયાદોમાં તેમને ન્યાય મેળવી આપવાના કામમાં ગાંધીજીને એકવીસ વરસ સુધી એટલે કે ૧૯૧૪ની સાલ સુધી તે દેશમાં રોકાવું પડયું.