પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
ગાંધીજીનો અક્ષરદેહ

રોજગારીનું કામ મેળવવાનું અશકય જેવું થઈ પડે ત્યાં મજૂરીના બજારમાં સારીસરખી ભીડ જામી છે અને તેણે મૂડીના વ્યાજ પર નભી શકાય એટલી રકમ બચાવેલી હોય નહીં.

દસ વરસને માટે તેને મળેલી કુલ રકમ પાઉન્ડ ૮૭ થાય. મુદતી કરારથી બંધાઈને અહીં આવનાર હિંદીને કરારની મુદતના દસ વર્ષના આખાયે ગાળા દરમિયાન કપડાંલત્તાંનો બીજો ખર્ચ માત્ર પાઉન્ડ ૩૭નો થાય એમ ગણીએ તો તેની પાસે ૫૦ પાઉન્ડની રકમની બચત રહે. હિંદુસ્તાન જેવા ગરીબ મુલકમાં પણ માંડ શરીરને નભાવવાને જરૂરી રકમ જેટલું વ્યાજ એટલી મૂડીમાંથી તેને મળે નહીં તેવો હિંદી તેથી હિંદુસ્તાન પાછા ફરવાનું સાહસ કરે તો પણ તેને મજૂરી માટેનો મુદતી કરાર સ્વીકારી અહીં પાછા આવવાની ફરજ પડે અને એમ તેની આખી જિંદગી ગુલામીમાં જ પૂરી થઈ જાય. એ ઉપરાંત આ મજૂરીથી બંધાયેલા હિંદીને પોતાનું એવું કુટુંબ હોય તો આ દસ વર્ષ દરમિયાનમાં તેના તરફ તે બિલકુલ ધ્યાન જ નહીં આપી શકે. અને કુટુંબ ધરાવતો માણસ ૫૦ પાઉન્ડ પણ બચાવી નહીં શકે. તમારા અરજદારોને કુટુંબવાળા મજૂરી નીચેના હિંદીઓએ કશું પણ બચાવ્યું નહીં હોય એવા અનેક દાખલાઓની માહિતી છે.

૩ પાઉન્ડની લાઇસન્સ ફી બાબતની બીજી કલમ વિષે તમારા અરજદારોનું કહેવું એવું છે કે એ વ્યાપક અસંતોષ અને જુલમ પેદા કરે એવો સંભવ રહે છે. નામદાર સમ્રાજ્ઞીની પ્રજામાંથી એક વર્ગને અને તે પણ સંસ્થાનને સૌથી ઉપયોગી વર્ગને આવી જાતના કર માટે શા માટે જુદો ગણવામાં આવે છે એ વાત તમારા અરજદારના અભિપ્રાય મુજબ સમજવાનું મુશ્કેલ છે.

તમારા અરજદારો ખૂબ જ માનપૂર્વક જણાવવાની હિંમત કરે છે કે કોઈ માણસ દસ વર્ષ બાંયધરી નીચે રહ્યો હોય તે પછી સંસ્થાનમાં સ્વતંત્ર થઈને તેને રહેવા દેવા માટે તેની પાસે ભારે રકમનો દંડ ભરાવવો એ બાબત સોદો ન્યાયના અને નીતિના સિદ્ધાંત સાથે સુસંગત નથી. માનો કે આ કલમો માત્ર એવા જ હિંદીઓને લાગુ પાડવામાં આવે કે જેઓ આ બિલ કાનૂન બન્યા બાદ સંસ્થાનમાં આવે અને તેમણે કઈ શરતોથી આવવાનું છે તેની તેમને જાણ પણ કરવામાં આવી હોય, પરંતુ એ હકીકત આ કલમોને તેની સામે ઊભા કરવા ધારેલા વાંધાઓમાંથી મુક્ત કરતી નથી. કારણ તમારા અરજદારોનું કહેવું એ છે કે એ રીતે કરાર કરનારા બંને પક્ષોને કાર્ય કરવાની એકસરખી સ્વતંત્રતા રહેશે નહીં. એક હિંદી કે જે ગરીબાઈની યાતનાઓથી જકડાઈ ગયેલો છે અને તેના કુટુંબનું ભરણપોષણ કરવાની અશક્તિ અનુભવી રહ્યો છે, તે જયારે મજૂરી માટેના કરાર પર સહી કરે છે ત્યારે તેને ભાગ્યે જ સ્વતંત્ર વ્યક્તિ ગણી શકાય. એવા માણસોની માહિતી પણ મોજૂદ છે કે જેમણે તાત્કાલિક ભીંસમાં લેનારી મુશ્કેલીઓમાંથી છૂટવાને માટે આનાથી પણ ખરાબ કાર્યો કરવામાં પોતાની સંમતિ આપી હોય. એટલે તમારા અરજદારો નમ્રતાપૂર્વક આશા રાખે છે અને પ્રાર્થના કરે છે કે ઉપર દર્શાવેલી કલમોને આ નામદાર સભાગૃહની મંજૂરી મળશે નહીં, અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ તમારા અરજદારો સદા પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

(સહી) અબદુલ્લા હાજી આદમ


અને બીજા કેટલાક હિંદીઓ

[ મૂળ અંગ્રેજી ]
છાપેલી નકલની છબી પરથી