પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
ગાંધીજીનો અક્ષરદેહ


હિંદી કોમને માટે આવી લડતના ખર્ચા તેમના કાબૂ બહારના જ રહેવાના એ વાત સાબિત કરવાને કોઈ દલીલ જરૂરી નથી. આ લડત જ સરખેસરખા વચ્ચેની નથી.

એનાથી આગળ હવે એમ માની લઈએ કે સર્વોચ્ચ અદાલતે પોતાનો એવો અભિપ્રાય આપી દીધો કે હિંદીઓ "સંસદીય મતાધિકાર ઉપર આધારિત ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતા નથી તો પછી વિધેયકમાં હિંદીઓને મતદારોની યાદી ઉપર ચડાવવાની જે પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે તે આપના અરજદારોના નમ્ર મત પ્રમાણે દરેક રીતે અસંતોષકારક છે.

વિધેયકનો જે ભાગ ગવર્નરને સત્તા આપે છે તેને તો યુરોપિયનોએ પણ ભારપૂર્વક નાપસંદ કર્યો છે એ વિષયની આ બાજુ વિષે ચર્ચા કરતાં धि नाताल विटनेस કહે છે:

. . . એ મહાન બંધારણીય સિદ્ધાંતો ઉપર હુમલો કરે છે અને વધારામાં નાતાલમાંની પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓના કાર્યમાં જેને અજાણ્યું કહી શકાય એવું તત્વ દાખલ કરે છે. એ તત્વ છે એ સંસ્થાઓ ઉપર ત્રીજી કલમની અસર આ ત્રીજી કલમ મતદાર યાદી માટેના લાયક એશિયાઈઓને પસંદ કરવા માટે છ વ્યક્તિઓના એક મંડળની (પેનલની) જોગવાઈ કરે છે. એવું દેખાય છે કે મંત્રીમંડળ આ વિચારને (એટલે આડકતરી ચૂંટણીના વિચારને) વળગી પડયું છે. પરંતુ તેઓ પોતાને તથા ગવર્નરને આડકતરું મતદારમંડળ બનાવવામાં માત્ર એક ઘૃણાસ્પદ જ નહીં પણ ભારે અયોગ્ય કાર્ય કરી રહ્યા છે.

એ જ પ્રશ્ન વિષે ફરીથી બોલતાં એમણે કહ્યું:

મોટા ભાગના આગળપડતા સભાસદોનો જેને વિષે વિશ્વાસ નથી એવા એક વિધેયકને પસાર કરીને વિધાનસભાએ લોકનજરમાં આદર મેળવ્યો નથી. અા સભાસદો જોઈ શકે છે કે એ એક સમાધાન છે, એક એવું સમાધાન છે જે બિલકુલ બિનઅસરકારક નીવડી શકે એમ છે. એ જયારે પહેલવહેલું પ્રગટ થયું હતું ત્યારે અમે કહ્યું હતું કે તે વિધાનસભાના ખાસ અધિકારો ઉપરનું ખૂબ જ ભયંકર આક્રમણ છે તેમ જ બંધારણીય સિદ્ધાંતો ઉપરનો હમલો છે. અને દરેક સભાસદ પાસેથી અપેક્ષા તો એ રાખવામાં આવી હતી કે તે આ સિદ્ધાંતોને અખંડ રાખવાને માટે પોતાને ગંભીર જવાબદારીથી બંધાયેલો માનશે.

આ છેલ્લા વાંધા વિષે કેટલાક સભ્યોને યાદ આપવાની જરૂર રહેતી નથી. મિ. બેઈલે કહ્યું હતું કે મતાધિકારનો હક એવો હક છે જે માત્ર લોકો પાસે જ રહેવો જોઈએ, એટલે તે ગવર્નર અને મંત્રીમંડળ પાસે નહીં રહેવો જોઈએ. અલબત્ત તેનો ઉપયોગ લોકોના પ્રતિનિધિઓએ જ કરવાનો છે. . . . પરંતુ અખબારોને તો આજની સંસદની નહીં પણ ભવિષ્યની બધી સંસદોની ચિંતા કરવાની છે. . . . જ્યારે એક મહાન બંધારણીય સિદ્ધાંતનો એક વાર ભંગ કરવામાં આવે છે, પછી ભલે તે ભંગ ગમે એટલો નજીવો હોય, ત્યારે એ જોખમ હંમેશાંને માટે ઊભું થઈ જાય છે કે કોઈ પણ સત્તાના લોભવાળી સરકાર એ ભંગાણને ગમે ત્યારે મોટું બનાવી દે.

એ વાંધો યુરોપિયનોના દૃષ્ટિબિંદુ મુજબનો છે. આપના અરજદારો એ દૃષ્ટિબિંદુ સાથે તો સંમત છે જ, પણ તેમને આ કલમના સિદ્ધાંત સામે વધારે મજબૂત વાંધો છે. હિંદી કોમ મતદાર યાદી ઉપર હિંદીઓનાં નામોની સંખ્યા જોવાને એટલી આતુર નથી, જેટલી તે બ્રિટિશ પ્રજા તરીકે પોતાના હકો તથા ખાસ અધિકારોની રક્ષાને માટે આતુર છે. તેઓ યુરોપિયન