પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
મિ. ચેમ્બરલેનને અરજી

એક જ પક્ષને બધો જ લાભ આપતી હોય અને તે પણ જેને એની તદ્દન નહીં જેવી જરૂર છે તેને. તમારા અરજદારોનું કહેવું એવું છે કે વસાહતીઓનો આ રીતે પ્રવેશ અટકાવવાની વાતની હિંદના ગીચ વસ્તીવાળા ભાગો ઉપર ખાસ અસર થશે નહીં.

૩૪. અત્યાર સુધી તમારા અરજદારોએ ગિરમીટના કરારની અને પરવાના અંગેની કલમો એકસાથે ચર્ચી છે પરવાના બાબતમાં, તમારા અરજદારો તમારું ધ્યાન એ હકીકત તરફ ખેંચવાની વિનંતી કરે છે કે જે એક વિદેશી રાજય છે એવા ટ્રાન્સવાલમાં પણ જે હિંદીઓ પોતાની ઇચ્છાથી અને પોતાને ખર્ચે ત્યાં જાય છે તેમના ઉપર સરકારે વાર્ષિક કર નાખવાની હિંમત કરી નથી. એક જ વખત ૩ પાઉન્ડ ૧૦ શિલિંગનો માત્ર એક પરવાનો કઢાવવાનો હોય છે. અને તમારા અરજદારોને માહિતી છે કે બીજી બાબતો ભેગી આ બાબત પણ સમ્રાજ્ઞીની સરકારને મોકલેલા પ્રાર્થનાપત્રનો[૧]વિષય બનેલી છે, એ ઉપરાંત, આ દાખલામાં પરવાનો એ બહુ જ અનિષ્ટ સ્વરૂપનો વાર્ષિક કર છે. એના કમનસીબ શિકારે પોતાની પાસે કશું પણ સાધન હોય ન હોય છતાં કર ભરી દેવાનો છે. ચર્ચા દરમિયાન એક સભ્ય એવો પ્રશ્ન કર્યો કે જો કોઈ હિંદી એ કર સામે વાંધો લે અથવા એ ન ભરે તો તે વસૂલ કઈ રીતે કરવામાં આવશે? ત્યારે ઍટર્ની જનરલે જવાબ આપ્યો કે સરકારી રાહે જપ્તીથી વસૂલ કરવા માટે આવો ગુનો કરનાર હિંદીના ઘરમાં હમેશાં પૂરતી જાયદાદ મળી આવશે.

છેવટે તમારા અરજદારો જણાવે છે કે લાઇસન્સની કલમના સમાવેશથી ઉપર દર્શાવેલા વાઈસરૉયના ખરીતામાં ઠરાવવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે.

અંતમાં, તમારા અરજદારો ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે સમ્રાજ્ઞીની સરકાર એવા નિર્ણય ઉપર આવશે કે અહીં ચર્ચેલી કલમો ખુલ્લી રીતે અન્યાયપૂર્ણ છે અને તેથી ઉપર જેનો ઉલ્લેખ થયો છે તે ઈન્ડિયન ઇમિગ્રેશન એમેન્ડમેન્ટ બિલને નામંજૂર કરવાની મહેરબાની કરશે, અથવા જેનાથી ન્યાયનો હેતુ બર આવે એવી બીજી રાહતો અપાવશે.

અને આ ન્યાય અને દયાના કાર્ય માટે તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

[ મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી


  1. ૧. દેખીતી રીતે જ આનો ખરડો ગાંધીજીએ ઘડયો નહોતો. મૂળ પાઠ લક્ષય નથી.