પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું


(૧૮૯૦–૧૯૧૪)

કેપ સંસ્થાન

૧૮૫૩ના રાજયબંધારણ ઑર્ડિનન્સ (કૉન્સ્ટિટયૂશન ઑર્ડિનન્સ) મુજબ કેપ સંસ્થાનના સરકારી તંત્રમાં કારોબારી અધિકાર ધરાવતા ગવર્નરની વ્યવસ્થા હતી. પણ તે વિધાનમંડળોને જવાબદાર નહોતા. આ વિધાનમંડળ વિધાનસભા અને વિધાનપરિષદ એવાં બે ચૂંટણીથી રચાયેલાં મંડળોનું બનેલું હતું. એમાંથી વિધાનપરિષદની ૧૮૭૨માં એવા ધોરણે પુનર્રચના કરવામાં આવી કે સંસ્થાનના સાત વિભાગ પાડી તે દરેકમાંથી અમુક સભ્યોને પ્રતિનિધિત્વ અપાયું. ધારામંડળો ઘણુંખરું કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં છે તેમ સંસ્થાનિક ધોરણે રચાયાં, પણ તેમને સ્થાનિક જરૂરિયાતોને અનુકૂળ બનાવાયાં હતાં.

વિધાન પરિષદ માટેનો મતાધિકાર ઊંચી એવી મિલકતની લાયકાતને આધારે હોઈ સંખ્યામાં નીચો હતો, ૧૮૯૨ના મતાધિકાર અને બૅલટ કાનૂનમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે મતદાર પાસે ૫૦ પાઉંડની વાર્ષિક આવક અથવા ૭૫ પાઉંડની કિંમતની સ્થાવર મિલકત હોવી જોઈએ. એમાં લેખિત કસોટીની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જોકે આ નિયમ સૌને સમાન રીતે લાગુ પડતો હતો છતાં, વ્યવહારમાં બિનગોરા મતદારોની સંખ્યા ઉપર તેનાથી કાપ મુકાતો હતો. ગોરા મતદારોની સંખ્યા એ સંખ્યાથી પ્રમાણમાં ઘણી જ વધી જતી હતી.

આ બંધારણ ઉદારમતવાદી અને સાંસ્થાનિક સ્વરૂપનું હતું. એનાથી બ્રિટિશ હકૂમતની મંજૂરી મેળવવાની શરતે ઘરઆંગણેની નીતિ બાબતમાં અધિકાર રહેતો હતો. ખરું પુછાવો તો એ ૧૯૧૦ સુધી અમલમાં રહ્યું. ત્યાર પછી કેપ સંસ્થાન સંઘ રાજ્યનો એક પ્રાંત બની ગયું.

૧૮૯૪ના ગ્લેન-ગ્રે કાનૂન વડે ગ્રામ અને જિલ્લા પરિષદો મારફતે દેશી લોકો માટે અમુક પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ દાખલ કરવામાં આવ્યું. આ દરેક પરિષદ મોટી પરિષદના ચોકઠામાં રહીને અધ્યક્ષ તરીકે એક યુરોપિયન મૅજિસ્ટ્રેટ તેમ જ ચાર ચૂંટાયેલા અને બે નિયુક્ત મળી છ સભ્યોની બનેલી છે. મોટી પરિષદમાં દરેક જિલ્લા પરિષદના ત્રણ આફ્રિકન પ્રતિનિધિઓ હતા તેમાંના એક નિયુક્ત અને બે ચૂંટાયેલા હતા. મોટી પરિષદ જેને સ્વશાસનના ઘણા અધિકારો મળેલા હતા તે મોટે ભાગે પોતાની આવક વેઠ-મુક્તિ કર અને ઝુંપડા વેરામાંથી મેળવતી. જિલ્લા પરિષદોને કર ઉઘરાવવાના કોઈ મૂળ અધિકારો મળેલા નહોતા. ૧૮૯૯-૧૯૦૩ની સાલ દરમિયાન ગ્લેન-ગ્રે કાનૂનને સંસ્થાનના કેન્ટની અને બીજા જિલ્લાઓને લાગુ કરવામાં આવ્યો.

૧૯૦૯ના જે દક્ષિણ આફ્રિકા કાનૂન મુજબ દક્ષિણ આફ્રિકા સંઘરાજયનું નિર્માણ થયું તેની મારફતે કેપ સંસ્થાનના “રંગ-નિરપેક્ષ” મતાધિકારને એવો ચોકસ નિયમ બનાવીને સુરક્ષિત કરવામાં આવ્યો હતો કે માત્ર રંગ અથવા જાતિના પાયા ઉપર કેપ સંસ્થાનના લોકો મતના અધિકારને ઘટાડવાના વલણવાળો કોઈ પણ કાનૂન માત્ર તો જ બનાવી શકે જો તેને સંઘરાજ્યની સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બેતૃતીયાંશ બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હોય.

૧૯૦૧ સુધી જે કેપટાઉન બ્રિટિશ હાઈ કમિશનરનું થાણું હતું, અને ૧૯૧૦માં જ્યારે અસરકારક સત્તા દક્ષિણ આફ્રિકાના મંત્રીમંડળના હાથમાં આવી ત્યાં સુધી આ બ્રિટિશ