પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬. મિ. ચેમ્બરલેનને અરજી
જોહાનિસબર્ગ,


દ.આ.પ્ર.,


નવેમ્બર ૨૬, ૧૮૯૫


પરમ માનનીય જોસફ ચેમ્બરલેન,

સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીની સેવામાં, લંડન

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રમાં વસતા નીચે સહી કરનારા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજી નમ્રપણે દર્શાવીએ છીએ કે :

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રની હિંદી કોમનું પ્રતિનિધિત્વ કરતા આપના અરજદારો આથી સમ્રાજ્ઞીની સરકારને માનપૂર્વક અરજ કરીએ છીએ. બાબત દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રની માનનીય લોકસભાએ ૧૮૯૫ના નવેમ્બરની ૭મી તારીખે પસાર કરેલા એક ઠરાવ સંબંધમાં છે. આ ઠરાવ સમ્રાજ્ઞીની સરકાર અને દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્રની સરકાર વચ્ચે થયેલી, પ્રજાતંત્રમાં વસતાં બધાં બ્રિટિશ પ્રજાજનોને વ્યક્તિગત લશ્કરી સેવામાંથી મુક્ત કરતી સંધિનું સમર્થન કરે છે. શરત એટલી કે એમાં જયાં જયાં "બ્રિટિશ પ્રજાજનો" શબ્દો આવે તેનો અર્થ "ગોરા લોકો" એવું સમજવાનું છે.

આ ઠરાવ વાંચતાંની સાથે આપના અરજદારોએ આપને ૧૮૯૫ના ઓકટોબરની ૨૨મી તારીખે, ગોરા અને રંગીન બ્રિટિશ પ્રજાજનો વચ્ચે કરવામાં આવેલા ભેદભાવ સામે વિરોધ દર્શાવતો તાર મોકલ્યો છે.[૧]

દેખીતી રીતે જ આ શરતી વાતનું નિશાન દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રમાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોને બનાવવામાં આવ્યું છે.

આપના અરજદારો આપનું ધ્યાન એ હકીકત તરફ ખેંચે છે કે ખુદ સંધિમાં "બ્રિટિશ પ્રજાજનો" શબ્દોનો ખાસ કોઈ અર્થ બિલકુલ કરવામાં નથી આવ્યો અને રજૂ કરે છે કે ઠરાવ, સંધિને જેમની તેમ સ્વીકારવાને બદલે તેમાં સુધારો કરે છે. અને માત્ર એટલા જ કારણસર આપના અરજદારો ખાતરીપૂર્વક માને છે કે સમ્રાજ્ઞીની સરકાર સુધારેલી સંધિને સ્વીકારી લેશે નહીં.

આપના અરજદારો આ ઠરાવ બ્રિટિશ પ્રજાજનો ઉપર જે બિનજરૂરી અપમાન લાદે છે તેને વિષે અહીં કશું કહેશે નહીં.

બ્રિટિશ પ્રજાજનોને લશ્કરી સેવામાંથી મુક્ત રાખવા માટે જે કારણ આગળ કરવામાં આવ્યું હતું તે એ હતું કે બ્રિટિશ પ્રજાજનોને સંપૂર્ણ નાગરિક હકો માટે લાયક ગણવામાં આવ્યા નથી અને પ્રજાતંત્રમાં તેમના ઉપર બીજી ગેરલાયકાતો લાદવામાં આવી છે. એટલે બીજા નાગરિકોને માથે છે એવી ફરજિયાત લશ્કરી સેવા આપવાની ફરજ તેમના ઉપર નંખાવી નહીં જેઈએ. જયારે હુલ્લડબાજી ચાલતી હતી ત્યારે ખુલ્લંખુલ્લા એવું સ્વીકારવામાં આવ્યું હતું કે


  1. ૧. આ તાર મળી શકયો નથી.