પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
હિંદી મતાધિકાર

૧૮૯૫ની સાલના વાર્ષિક હેવાલના પા. ૫ ઉપર સંરક્ષક કહે છે:

ગયા વર્ષને છેડે આખા વર્ષની ઠરેલી સંખ્યા પૂરી કરવામાં ૧,૩૩૦ માણસોની ઘટ

બાકી રહી હતી. આ સંખ્યા ઉપરાંત ૧૮૯૫માં ૨,૭૬૦ માણસોને બોલાવવા માગણી થઈ, એ મળીને સરવાળો ૪,૦૯૦નો થયો. એ સંખ્યામાંથી હેવાલના વર્ષમાં ૨,૦૩૨ લોકો આવ્યા. (મદ્રાસથી ૧,૦૪૯ અને કલકત્તાથી ૯૮૩) એટલે ગયા વર્ષની ઠરેલી સંખ્યા પૂરી કરવા માટે આ વર્ષમાં આવવાના ૨,૦૫૮ જેટલા લોકો બાકીમાં રહ્યા (એમાંથી જેમની માગણી રદ થઈ છે એટલા ૧૨ ઓછા).

જો હિંદીઓ ખરેખર જ સંસ્થાનને માટે નુકસાનકારક હોય તો સૌથી સારી અને સૌથી ન્યાયી રીત વધુ વસાહતીઓ લાવવાનું બંધ કરવું એ જ છે. એટલે વખત જતાં હાલની હિંદી વસ્તી સંસ્થાનને વધુ તકલીફ આપશે નહીં. જેને ગુલામી જ કહી શકાય એવી હાલતમાં તેમને લાવવા એ ભાગ્યે જ ન્યાયસંગત છે.

જો આ અપીલથી હિંદી મતાધિકાર સામે ઊભા કરવામાં આવેલા જુદા જુદા વાંધાઓનો થોડો પણ સંતોષકારક જવાબ મળ્યો હોય; જો વાચકને અમારી ભારપૂર્વક કહેલી એ વાત મંજૂર હોય કે હિંદીઓને પક્ષે મતાધિકારનું આંદોલન એ વિરોધી અાંદોલનમાંથી ફલિત થતા સ્વમાનભંગ સામે ઉઠાવવામાં આવેલો વાંધો માત્ર છે અને એ રાજદ્વારી સત્તા કે પ્રભાવ મેળવવાનો પ્રયાસ નથી, તો હું નમ્રપણે માનું છ કે હું વાચકોને હિંદીઓના મતાધિકારનો અડીજડીને વિરોધ કરવાનો નિશ્ચય કરતાં પહેલાં થોભી જવાને અને વિચારવાને કહું તો તે યોગ્ય જ થશે. જોકે "બ્રિટિશ પ્રજા"ના વિચારને અખબારોએ એક ગાંડપણ અને ધૂન ગણી કાઢીને ફગાવી દીધો છે, છતાં એનો આશરો લીધા વિના મારો છૂટકો નથી. એના સિવાય કોઈ પણ જાતનું મતાધિકારનું આંદોલન થઈ શકયું ન હોત. એના વિના કદાચ રાજ્ય આશ્રયે થયેલું વસાહતીની ભરતીનું કામ પણ બન્યું ન હોત. જો હિંદીઓ બ્રિટિશ પ્રજા નહીં હોત તો તેમનું નાતાલમાં આવવાનું ઘણુંખરું અશકય બન્યું હોત. એટલે હું દક્ષિણ આફ્રિકામાં રહેતા દરેક અંગ્રેજને અરજ ગુજારું છું કે તે "બ્રિટિશ પ્રજા"ના વિચારને પોતાના મનમાંથી નજીવો ગણીને કાઢી નહીં નાખે. ૧૮૫૮ની સાલનો ઢંઢેરો એ સમ્રાજ્ઞીનું ઘણુંખરું તેમની પ્રજાએ માન્ય કરેલું પગલું હતું. કારણ કે એ કાંઈ મનસ્વીપણે ભરાયું નહોતું. પણ તે વખતના એમના સલાહકારોની સલાહ મુજબ એ ભરાયું હતું અને તેમનામાં મતદારોએ પોતાના મત આપીને સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો હતો. હિંદુસ્તાન ઇંગ્લંડના કબજા હેઠળ છે અને ઇંગ્લંડ કાંઈ હિંદુસ્તાન ઉપરનો તેનો કબજો છોડવા ઇચ્છતું નથી. એક અંગ્રેજના એક હિંદી પ્રત્યેના એકેએક કૃત્યની, અંગ્રેજો અને હિંદીઓ વચ્ચેના આખરી સંબંધો ઘડવામાં, કાંઈ ને કાંઈ અસર પડયા વિના રહેવાની નથી, એ ઉપરાંત એ વાત તો સાચી જ છે કે હિંદીઓ બ્રિટિશ પ્રજા છે એટલા જ કારણસર તેઓ આજે દક્ષિણ આફ્રિકામાં છે. કોઈને પસંદ પડે કે ન પડે તોપણ તેમને નભાવી લેવાના છે. તો પછી એ વધારે સારું નથી કે એવું કાંઈ પણ કામ નહીં થવું જોઈએ કે જેથી બંને જાતિઓ વચ્ચેની લાગણીઓમાં નાહક કડવાશ પેસી નહીં જાય?, ઉતાવળાં અનુમાનો બાંધવાથી અથવા તો આધાર વિનાની માન્યતાઓના પાયા ઉપર અનુમાનો બાંધવાથી એ વાત બિલકુલ અસંભવિત નથી કે અજાણપણે હિંદીઓને અન્યાય થઈ જાય.

મારું કહેવું એ છે કે બધા વિચારશીલ માણસોના મનમાં પ્રશ્ન એ નહીં હોવો જોઈએ કે હિંદીઓને સંસ્થાનમાંથી હાંકી કેવી રીતે કાઢવામાં આવે (કારણ કે એ અશકય છે) પણ તે