જેમને ખ્રિસ્તીધર્મની દીક્ષા અપાઈ નહીં હોય તેમને માટે માંસ ખાવાનું કાંઈક બહાનું હોઈ શકે; પણ જેઓ કહે છે કે તેમનો “પુનર્જન્મ” થયો છે તેમને માટે શાકાહારી ખ્રિસ્તીઓનો દાવો એવો છે કે કોઈ બહાનું હોઈ નહીં શકે. તેનું કારણ એ છે કે તેમની સ્થિતિ બેશક “પતન” પહેલાંના લોકોથી ચડિયાતી નહીં તો તેમના જેવી તો રહેવી જ જોઈએ. વળી પુનરુદ્ધાર સમયે :
- વરુ ઘેટાના બચ્ચા સાથે રહેશે, અને ચિત્તો બકરીના બચ્ચા સાથે સૂશે. અને વાછરડું અને સિંહનું બચ્ચું, અને કતલનું પશુ બધાં સાથે ફરશે અને એક નાનું બાળક એ બધાંને દોરશે. . . અને સિંહ એક બળદની માફક ઘાસ ખાશે. . . મારા આખા પવિત્ર પહાડ ઉપર કોઈ પણ હિંસા કે મારફાડ કરશે નહીં, કારણ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો રહે છે તેમ જમીન પરમાત્માના જ્ઞાનથી ભરપૂર રહેશે.
એવું બને કે હજુ આ સમય આખા જગત માટે દૂર હોય. પણ જેઓ જાણે છે અને અમલ કરી શકે તેમ છે એવા ખ્રિસ્તી લોકો શા માટે કાંઈ નહીં તો એનો પોતાના જીવનમાં અમલ કરતા નથી? એવા સમયની આગાહી કરવામાં કાંઈ પણ નુકસાન ન હોઈ શકે, અને એમ કરવાથી એવો સંભવ રહે છે કે તેને પહેાંચવાનું અત્યંત ઝડપી બને.
[ મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૪-૨-૧૮૯૬
નેક નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાંસિસ હેલી હચિન્સન, સેઈન્ટ માઈકલ અને સેઈન્ટ જ્યૉર્જના પરમ પ્રતિષ્ઠિત દરજજાના નાઈટ કમાન્ડર, નાતાલ સંસ્થાનમાં અને તેની ઉપર ગવર્નર અને પ્રધાન સેનાપતિ તથા તેના ઉપનૌકા-સેનાપતિ અને દેશી પ્રજાના સૌથી મોટા મુખી, ઝૂલુલૅન્ડના ગવર્નર વગેરે વગેરેની સેવામાં પિટરમેરિત્સબર્ગ, નાતાલ
- નીચે સહી કરનારા નાતાલમાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજ
નમ્રપણે દર્શાવવાનું કે :
૧૮૯૬ની સાલના ફેબ્રુઆરીની ૨૫મી તારીખના नाताल गवर्नमेन्ट गॅझेटમાં નેાંદવેની, ઝૂલુલૅન્ડના જમીનવેચાણ સંબંધી નિયમોના જે થોડા અંશો પ્રગટ થયા છે, તે અંગે નાતાલમાં રહેતા હિંદીઓના પ્રતિનિધિઓ તરીકે અરજદારો આથી આપ મહાનુભાવને અરજ કરીએ છીએ. એ અંશો છે:
- કલમ ૪નો અંશ : યુરોપિયન જન્મ અથવા વંશની જે વ્યક્તિઓ આવા કોઈ પણ લિલાઉંમાં ઊભી રહેવા માગતી હોય તેમણે લિલાઉંની તારીખથી ઓછામાં ઓછા વીસ