પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
પ્રકાશકનું નિવેદન

પરસ્પર એવું તો યોગ્ય મિશ્રણ થવું જોઈએ કે વાંચનારના મુખમાંથી સ્વાભાવિક ધન્યવાદ નીકળી પડે. નવલકથામાં કાળ, સ્થળ, પાત્રો; આબેહુબ સામાજિક ચિત્ર; ઐતિહાસિક અવિરોધ; જનસમાજના આચાર વિચાર, રહેણી કરણી; સ્ત્રી પુરૂષોને પરસ્પરનો શુદ્ધ વ્યવહાર એ વગેરેનું બોધદાયક અને ફાયદાકારક ચિત્ર વાંચનારની દૃષ્ટિ સન્મુખ સાદી સરળ રસિક અને મનોરંજક શૈલીમાં એવી તો ખુબીથી રજુ થવું જોઇએ કે, જેથી અસંભવિતપણાનો યત્કિંચિત પણ ખ્યાલ વાંચનારને ન આવે તથા તેનું મન આદિથી અંત સુધી આકર્ષાયલું રહે. નવલકથામાં ગુંથાયલી વાર્તા કોઇ પણ રીતે વિષય વાસના વધારનારી હોવી જોઇએ નહિ. એક સારી નવલકથાનાં આ સામાન્ય લક્ષણો છે, અને તે, વાંચનારને “ગંગા” એક ગૂર્જર વાર્તામાં જણાયા વગર રહેશે નહિ. આ નવલકથા આજથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે જેવી લોકોમાં પ્રિય થઈ પડી હતી તેવી જ આ નવા અવતારમાં પણ થઈ પડશે એવી પ્રકાશકની આશા છે.

આ વાર્તાનું અર્પણપત્ર બદલ્યું છે તે સકારણ છે, એટલું વાંચનાર જોઇ શકશે, તે માટે કંઇ ખુલાસાની જરૂર નથી.

જે એક વાર્તા તે જે ભાષામાં રચાયેલી છે તે ઉપરાંત પરભાષામાં પણ તેનો આદર થાય અને રૂપાંતરોને પામે તો તેને એક ઉત્તમ નવલકથા કહી શકાયઃ એવો જો કસોટીગુણ સ્વીકારવામાં આવતો હોય તો તે કસોટીએ આ નવલકથાને કસી શકાય છે. આ વાર્તા ઉપરથી મરાઠીમાં ઘણાં વર્ષો ઉપર એક “દૈવલીલા” નામની વાર્તા યેાજાયલી હતી, અને તે પ્રમાણે તેનું હિન્દીમાં પણ અનુકરણ થયેલું છે. આટલી વિશેષ નોંધ કરવામાં વાંચકો ક્ષમા આપશે એવી આશાએ વિરમું છું.



મુંબઈ
અધિક શ્રાવણ શુદ ૩.
સં. ૧૯૮૪
}
નટવરલાલ ઇચ્છારામ દેશાઈ