સઘળી હકીકત પૂછી, ને પછી તરત જ ગંગા પાસે ગયો. તે અહીંયા કયા ડાક્ટરની દવા લેવી તેના વિચારમાં હતી, તરત ત્યાં હેમચંદ્ર અને જેઠજી કેશવલાલભાઇ આવ્યા. ગંગા મર્યાદા માટે તેમની આગળ ઉભી રહી. હેમચંદ્રે જણાવ્યું કે ગોપાળ શિવરામ એ ઘણો સારો ડાક્ટર ને યુરોપિયન બેાલાવવો હોય તે ડા.બ્લેની દેશીઓમાં ઘણો પળોટાયલો છે. પછી ડા.બ્લેનીને બોલાવવાનો ઠરાવ થયો. તેમણે આવીને રોગીની જીભ તપાસી ઔષધ આપ્યું. શેઠાણી તો કહેવા લાગ્યાં કે એ ઔષધમાં દારુનો ભેગ છે, માટે મારાથી નહિ લેવાય; પણ ગંગાના અતિ ઘણા આગ્રહને લીધે તે પીવાની જરૂર પડી. સવાર, બપોર ને સાંઝે ત્રણ વખત ગંગા જ ઔષધ આપવાની ગોઠવણ કરતી હતી, તેમ જ ખાવા પીવાની પણ યથાર્થ તજવીજ તે જ રાખતી હતી.
ત્રણેક દિવસ પછી કેશવલાલે આવીને જણાવ્યું કે સાહેબનો હુકમ થયો છે, કે પાછા અમદાવાદ ચાલો, માટે હવે મુંબઇ છોડવું પડશે તેથી તે ઘણો ખિન્ન થયલો જણાયો. તેનો ઉપાય નહોતો. નોકરી છોડી દેવાય તેમ નહોતું. થોડા સમયમાં પગાર પણ વધવાની આશા હતી તેથી ગંગાની સલાહ લેવા આવ્યો. તે દીવાનખાનામાં ગમગીન બેઠેલો હતો, તેને જોઇને ગંગા બેાલીઃ–
“ભાઇજી, કેમ મોઢું ઉતરી ગયું છે ?”
“જુવોની આ સાહેબ હવે કનડવા બેઠો છે, તેણે ગઇ કાલે હુકમ કીધો છે કે બે દિવસમાં અમદાવાદ મુકામ કરવો. આજે શનિવાર તો થયો છે ને સોમવારે અમદાવાદમાં ઓફીસ કરવાનો હુકમ છે અહિયાં માની માંદગી ઘણી કપરી છે. તેમને સારું થવાની જરા પણ આશા નથી, કિશોરલાલ પણ નથી ને તમારે એકલાને જ માથે સઘળી પીડા આવી પડી છે. હવે હું તે કેમ કરું ?”
“એમાં ગભરાવાનું કંઈ નથી. તમે બેલાશક જાઓ. સાસુજીની તમોએ જરાપણ ફિકર રાખવી નહિ. તેઓ મારાં મા જેવાં છે, એટલે